મનુષ્યના પતન થવાનું કારણ શું?

મનુષ્યના પતન થવાનું કારણ શું?
Spread the love

ગીતામૃતમ્..

મનુષ્યના પતન થવાનું કારણ શું?

શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૨-૬૩)માં ભગવાન કહે છે કે વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ જન્મે છે,આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે.કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.ક્રોધથી મોહ (મૂઢતા) આવે છે.મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થઇ જાય છે.સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ એટલે કે વિવેક નાશ પામે છે.બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે.

વિષયોનો પરીત્યાગ,ઇચ્છા રહિત જીવન કે જે સહજમાં પ્રાપ્ત થતું નથી કારણ કે આ ઇચ્છાઓનો સબંધ અનેક વાસનાઓની સાથે છે.આ વાસનાઓ જ કર્મનું મૂળ છે.જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે સમયે તે પોતે જ પોતાની રક્ષા કરી લે છે એટલે ખૂબ જ સાવધાનીની સાથે એ જોતા રહેવું જોઇએ કે સમગ્ર જગત કાળરૂપી અજગરથી ભયગ્રસ્‍ત છે.વાસ્‍તવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્‍તવમાં મુક્ત થઇ જાય છે.વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે.

વિષયોનો ઉ૫ભોગ કરવાથી શાંતિ મળતી નથી ૫ણ અગ્નિમાં ઘી નાખીએ તેમ જ્વાળાઓ વધતી જ જાય છે.વારંવાર વિષયોનું સેવન કરતા રહેવાથી ચિત્ત તે વિષયમાં ઘુસી જાય છે.આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી જ પેદા થાય છે.સાધકે ૫રમાત્મામાં તન્મય થઇને ચિત્તને સ્થિર કરી વિષયોનું ચિંતન ન કરવું તથા તૃષ્‍ણારહીત થઇને વિષયો ૫રથી દ્દષ્‍ટિને હટાવીને અંતર્મુખ બની જવું જોઇએ.વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે,કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છેપરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી.

જેમ ઘણી બધી સ્‍ત્રીઓ(૫ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્‍દ્રિયો અને પાંચ કર્મેન્‍દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્‍માએ મનુષ્‍ય શરીરની રચના એવી બુધ્‍ધિથી કરી છે કે જે બ્રહ્મસાક્ષાત્‍કાર કરી શકે છે.જો કે આ મનુષ્‍ય શરીર અનિત્‍ય છે પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્‍તિ ૫ણ થઇ શકે છે.મૃત્‍યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્‍મો ૫છી મળેલો આ અત્‍યંત દુર્લભ મનુષ્‍ય જન્‍મ પામીને બુધ્‍ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું મૃત્‍યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્‍ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્‍ય તમામ યોનિઓમાં પ્રાપ્‍ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્‍ય જન્‍મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્‍ય જીવન ખોવું ના જોઇએ.આ શરીરનું ફળ વિષય નથી.સ્વર્ગનું સુખ ૫ણ સ્વલ્પ સમયવાળું તથા નાશવાન છે અને અંતમાં દુઃખ આ૫નારૂં છે.જે મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવી દે છે તે મૂર્ખ અમૃતના બદલે વિષને પ્રાપ્‍ત કરે છે.જે માનવ પારસમણીને છોડીને ૫થરાને ૫કડે છે તેને કોઇ સમજદાર કહેતું નથી.

ભગવાનનું ચિંતન નહી થવાથી વિષયોનું જ ચિંતન થાય છે કારણ કે જીવની એક તરફ ૫રમાત્મા છે અને બીજી તરફ સંસાર છે.જ્યારે આ૫ણે ૫રમાત્માનો આશ્રય છોડી દઇએ છીએ ત્યારે સંસારનો આશ્રય લઇને સંસારનું જ ચિંતન કરીએ છીએ કેમકે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઇ વિષય રહેતો નથી.આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્યની તે વિષયમાં આસક્તિ-રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઇ જાય છે.આસક્તિ પેદા થવાથી મનુષ્ય તે વિષયનું સેવન કરે છે.વિષયોનું સેવન ૫છી ભલે તે માનસિક હોય કે શારીરિક હોય,તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે.પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે.વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને(ભોગોને) પ્રાપ્ત કરવાની કામના પેદા થઇ જાય છે કે તે ભોગો-વસ્તુઓ મને મળે.કામનાને અનુકૂળ ૫દાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઇ જાય છે અને કામના પુર્તિની સંભાવના થઇ રહી હોય પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉ૫ર ક્રોધ આવી જાય છે.

ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ આસક્તિ છે.મમતા સ્પૃહા વાસના આશા વગેરે દોષો આસક્તિના કારણે જ થાય છે.મારૂં મનગમતું થાઓ આ જ કામના છે.નાશવાન ૫દાર્થોની ઇચ્છા જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ ૫દાર્થોની કામના,પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનામાં વિઘ્ન આવતાં કામ જ ક્રોધમાં ૫રીણમે છે.અમારી ઇચ્છાનુસાર જ્યારે કોઇ કાર્ય ના થાય ત્યારે મનમાં તનાવ કુંઠા સંઘર્ષ તથા અસંતોષની સ્થિતિ પેદા થાય છે.આ સ્થિતિને શાંત કરવા અમુક હદ સુધી અમારો વિવેક પ્રયાસ કરે છે પરંતુ જ્યારે વિવેકનું નિયંત્રણ રહેતું નથી ત્યારે ક્રોધ ભભૂકી ઉઠે છે.ક્રોધ અને હિંસાના પ્રભાવમાં વ્યક્તિ પૈશાનિક ભાવનાથી પ્રેરાઇને ન કરવાનાં કાર્ય(અનર્થ) કરી બેસે છે.ઘણીવાર વિવેકની ખામીના કારણે અમારી અંદર વૈમનસ્ય, વિરોધ, કટુતા, ઇર્ષા, શત્રુતા, બદલાની ભાવના વગેરે હિંસાનાં સુક્ષ્મરૂ૫ અમારી અંદર અંકુરના રૂ૫માં હોય છે તે ૫ણ ક્રોધનું રૂ૫ ધારણ કરી લે છે.

નીતિ-ન્યાયની વિરૂદ્ધ કામ કરવાવાળાને જોઇને ક્રોધ આવે તો નીતિ-ન્યાયમાં રાગ છે.અપમાન-તિરસ્કાર કરવાવાળા ઉપર ક્રોધ આવે તો માન-સત્કારમાં રાગ છે.નિંદા કરવાવાળા ઉપર ક્રોધ આવે તો પ્રસંશામાં રાગ છે.દોષારોપણ કરવાવાળા ઉપર ક્રોધ આવે તો નિર્દોષતાના અભિમાનમાં રાગ છે.કામ ક્રોધ લોભ અને મમતાથી સંમોહ(મૂઢતા) થાય છે.કામથી જે સંમોહ થાય છે તેમાં વિવેકશક્તિ ઢંકાઇ જવાથી મનુષ્ય ન કરવાના કામ કરી બેસે છે.ક્રોધથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો અને પૂજ્યજનોને ઉલ્ટી-સીધી વાતો કહે બેસે છે.લોભથી જે સંમોહ થાય છે તેમાં સત્ય-અસત્ય,ધર્મ-અધર્મનો વિચાર રહેતો નથી અને તે કપટ કરીને લોકોને ઠગી લે છે.મમતાથી જે સંમોહ થાય છે તેમાં સમભાવ રહેતો નથી અને પક્ષપાત થઇ જાય છે.

મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.મોહનો અર્થ છે વસ્તુના વાસ્તવિક જ્ઞાનનો અભાવ.આ અવસ્થામાં બે પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન થાય છે.પ્રથમમાં અમે અવસ્તુને વસ્તુ માની લઇએ છીએ જેમ કે દોરડાને સાપ સમજી લેવો તેને ભ્રમ કહેવામાં આવે છે.બીજામાં વસ્તુની યર્થાથતાના સબંધમાં સંદેહ રહે છે કે દોરડું છે કે સા૫ ! મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી.આ મોહ માયાની મુખ્ય શક્તિ છે.૫રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્યના માટે કર્યું છે.માયાનો સહારો લઇને જ ૫રમાત્મા સૃષ્‍ટિની રચના કરે છે તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે.જે સત્યની ઉ૫ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્‍ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી.માયાનું આ બીજું રૂ૫ મોહ છે તેના કારણે જ મનુષ્‍ય પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ ભૂલી જાય છે.તે ભૂલી ગયો છે કે તે દેહ નથી ૫રંતુ આત્મા છે.વાસ્તવમાં જીવએ ૫રમાત્માનો અંશ છે.ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્‍ટ ભોગવે છે.

“જેઓ માન અને મોહથી રહિત થઇ ગયા છે,જેઓએ આસક્તિથી થવાવાળા દોષને જીતી લીધા છે,જેઓ નિત્ય નિરંતર ૫રમાત્મામાં જ લાગેલા છે,જેઓ પોતાની દ્રષ્‍ટિએ તમામ કામનાઓથી રહિત થઇ ગયા છે તેઓ સુખ દુઃખરૂપી દ્રન્દ્રોથી મુક્ત થઇ ગયા છે એવા (ઉંચી સ્થિતિવાળા) મોહરહિત ભક્તો તે અવિનાશી ૫રમ૫દ (૫રમાત્મા)ને પ્રાપ્‍ત થાય છે.”(ગીતાઃ૧૫/૫)

મૂઢતા છવાઇ જવાથી સ્મૃતિ નષ્ટ થઇ જાય છે એટલે કે શાસ્ત્રો અને સદવિચારોથી જે નિશ્ચય કરવામાં આવ્યો હતો કે આપણે તો આવું કામ કરવું છે,આવું સાધન કરવું છે,પોતાનો ઉદ્ધાર કરવો છે..તેની સ્મૃતિ નષ્ટ થઇ જાય છે.સ્મૃતિ નષ્ટ થઇ જવાથી બુદ્ધિમાં પ્રગટ થવાવાળો વિવેક લુપ્ત થઇ જાય છે એટલે કે મનુષ્યમાં નવો વિચાર કરવાની શક્તિ રહેતી નથી.વિવક લુપ્ત થઇ જવાથી મનુષ્ય પોતાની સ્થિતિથી નીચે પડી જાય છે તેથી આ પતનથી બચવા ભગવાનને પરાયણ થવાની આવશ્યકતા છે.વિષયોનું ફક્ત ચિંતન થવાથી રાગ,રાગથી ક્રોધ,ક્રોધથી સંમોહ,સંમોહથી સ્મૃતિનાશ,સ્મૃતિનાશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશ થી પતન..આ જે ક્રમ બતાવ્યો છે તેનું વિવેચન કરવામાં સમય લાગે છે પરંતુ આ બધી વૃત્તિઓ પેદા થવામાં અને તેનાથી મનુષ્યનું પતન થવામાં સમય લાગતો નથી.વિજળીના પ્રવાહની જેમ આ તમામ વૃત્તિઓ તત્કાળ પેદા થઇને મનુષ્ય પતન કરાવી દે છે.

વિષયોમાં દોષદર્શન જ્ઞાનમાર્ગની સાધનાથી સંભવ બને છે.જ્ઞાની અસતનો ત્યાગ કરીને સતને ગ્રહણ કરે છે.સંસાર અને તેના તમામ ૫દાર્થો અસત્ અને અનિત્ય છે એવું માનીને જ્ઞાની પોતાના મનને વિષયોન્મુખ થવા દેતા નથી.તમામ વિષયોમાં વિતરાગ છે તે જ સંત છે.તે મોહરહિત બ્રહ્મતત્વમાં નિષ્‍ઠાવાન છે.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!