ચીરીપાલ ગ્રૂપના એમડી જ્યોતિ ચીરીપાલ, સીઈઓ દીપક ચીરીપાલ અંડરગ્રાઉન્ડ…!

નારોલના પીપળજ-પીરાણારોડ પર આવેલ ચીરીપાલ ગ્રૂપની નંદન ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગતાં સાત લોકોનાં થયેલાં મોતના ચકચારી કેસમાં ધરપકડથી બચવા માટે ચીરીપાલ ગ્રૂપના એમડી જ્યોતિ ચીરીપાલ, સીઈઓ દીપક ચીરીપાલ અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. સાત લોકોનાં મોત થયા બાદ લોકોમાં રોષ ભભૂકી ઊઠતાં નારોલ પોલીસે જ્યોતિ અને દીપક ચીરીપાલ સહિત પાંચ લાકો વિરુદ્ધમાં બેદરકારીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આગમાં સાત લોકોનાં મોતના મામલે નારોલ પોલીસે સરકાર તરફે ચીરીપાલ ગ્રૂપના એમડી જ્યોતિ ચીરીપાલ, સીઈઓ દીપક ચીરીપાલ, ઓલટાઇમ ડિરેક્ટર પી. કે. શર્મા, શિર્ટંગ વિભાગના જનરલ મેનેજર બી. સી. પટેલ, ડેપ્યુટી જનરલ મેનેજર એચ.એમ. પટેલ અને ફાયર ઓફિસર રવિકાંત સિન્હા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.દરમિયાનમાં જે યુનિટમાં આગ લાગી હતી તેમાં ફાયર એનઓસી( NOC ) જ ન હતી. નારોલ ખાતે નંદન એક્ઝિમમાં શનિવારે લાગેલી ભીષણ આગમાં સાત વ્યક્તિનાં કરુણ મોત થયાં છે. ચિરીપાલના યુનિટમાં લાગેલી આ આગ સંદર્ભે ફાયર બ્રિગેડના વડા એમ.એફ દસ્તૂરને પૂછતાં તેઓ કહેવાય છે જે યુનિટમાં આગ લાગી હતી તે યુનિટનું ફાયર એનઓસી ( NOC ) જ ન હતું.
હવે જ્યારે ફરી યુનિટ ચાલુ કરવા તંત્ર પાસે ફાયર એનઓસી માંગવામાં આવશે તે વખતે અમે સમગ્ર પ્લોટમાં ચાલતાં યુનિટની ફાયર સિસ્ટમ ચેક કરી તેના આધારે એનઓસી આપીશું. પરંતુ જો ફેક્ટરી ઇન્સ્પેકટર તરફથી લીલીઝંડી અપાશે તો ફાયરબ્રિગેડની કોઇ ભૂમિકા નહીં રહે.ચીરીપાલનાં આ યુનિટમાં આ પ્રકારે ચીરીપાલ કંપનીના અન્ય ડાયરેકટરના પણ યુનિટ ચાલતા હોઇ શકે છે તેમ જણાવતા દસ્તુર વધુમાં કહે છે સમગ્ર ઇન્ડસ્ટ્રિયલ ઝોનનાં યુનિટ ચેક કરી એનઓસી આપવાનો પ્રશ્ન ઊભો થતો નથી પરંતુ અનેક કિસ્સામાં જે તે ઉદ્યોગપતિ અમુકની એનઓસી લે અને અમુકની ન લે તેવું સગવડિયું ધોરણ અપનાવતા હોઇ ચિરીપાલ મામલે ઝીણવટભરી તપાસ કરાશે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)