અમદાવાદના સેટેલાઇટમાં વરિયા એન્જિ.ના માલિકનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને સોમવારે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. હાલમાં તેઓ ICUમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ ભાનમાં છે. વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ શહેરમાં અનેક લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે પણ પોલીસ માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સિવાય કોઈ જ કામગીરી નથી કરતી.
સોમવારની સાંજે હિમાંશુએ 5થી 6 લોકોને વોટ્સએપ કર્યા હતા. જેમાં તેમણે ધીરુભાઇ નામના વ્યક્તિને પણ મેસેજ કર્યો હતો. ધીરુભાઈએ હિમાંશુ ભાઈને ફોન કર્યા હતા પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહતો. ફરી એક મેસેજ આવ્યો હતો અને તેમાં તેમનો ફોટો હતો. જેથી તેમને કંઈક ખોટું થયુ છે તેવું લાગ્યું હતું. ત્યારબાદ તરત હિમાંશુ ભાઈનો ફોન આવ્યો હતો અને તેઓ દવા પી ગયા છે, માફ કરજો, મારા ઘરના લોકોને સાચવજો તેમ કહ્યું હતું. હિમાંશુંભાઈ ગઈકાલે જ ધીરુભાઈને મળ્યા હતા. અને કહ્યું હતું કે તે ત્રાસી ગયા છે. જેથી તેમણે ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ત્રણ મહિના પહેલા હિમાંશુભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી.
હિમાંશુભાઈએ દવા પી લીધી હોવાનો મેસેજ બાબુભાઇ નામના વ્યક્તિને પણ કર્યો હતો. બાબુભાઇ વટવામાં જ નોકરી કરતા હોવાથી અને નજીકમાં જ હોવાથી હિમાંશુને શોધતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હિમાંશુભાઈને કારમાં દવા પીધેલી હાલતમાં જોયા હતા અને ધીરુભાઇના કોલ પણ હિમાંશુના મોબાઇલમાં આવી રહ્યા હોવાથી તેમણે ફોન ઉપાડ્યો હતો અને હિમાંશુ દવા પીધેલી હાલતમાં હોવાનું તેમને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રી રોલિંગ મિલ્સ મશીનરી, સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રીપ અને કોઈલ બનાવતી વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2000માં કંપની એકટ હેઠળ રજીસ્ટર થઈ હતી. સેકન્ડ જનરેશન ગણાતી આ કંપનીની જવાબદારી ત્યારથી જ હિમાંશુ વરિયા હસ્તક આવી હતી. પહેલા કંપનીમાં ડાયરેક્ટ અને ત્યાર બાદ મેનેજીંગ ડાયરેકટર તરીકે તેમણે કારભાર સંભાળ્યો હતો. તેમનો પરિવાર પાછલા 45 વર્ષથી સ્ટીલ અને એન્જિનિયરિંગને લગતા વ્યવસાય સાથે સંકળાયેલો છે. હિમાંશુ વરિયા વિરુદ્ધ કેનેરા બેંકની સબસિડીયરીએ ફ્રોડનો ક્રિમીનલ કેસ કર્યો હતો.
હિમાંશુ વરિયાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ મુકી હતી. જેમાં કહ્યું કે, ધીરુકાકાહું મારી લાઇફથી કંટાળી ગયો હતો. SBIના DGM રમાકાંત તિવારીએ મારી રનિંગ 50 વર્ષ જૂની કંપનીને એના ઇગોને લીધે CD-R રિસ્ટ્રક્ચર્ડ કરી હતી તો પણ એક વર્ષ સુધી જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન ન કરવા દીધા. એટલે મારી 50 વર્ષ જૂની કંપની અને 25 વર્ષની મહેનત ટેકનિકલ NPA થઇ ગઇ. એટલેથી ના અટકતા SBIના અધિકારીઓએ બ્રાન્ચનું NPA ના દેખાય એટલા માટે CD-R ની સ્કિમને જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કર્યા નહતા તો પણ હાફ ઇમ્પ્લિમેન્ટ કરી SBIની આજ ભુલને કારણે SBIના ઓડિટર્સે કંપની ટેકનિકલ NPA કરી. એમાં મારો કે મારી કંપનીના 500 એમ્પ્લોઇ અને એમના ફેમિલીનો શું વાંક હતો?
કાકા પછી કંપનીને બચાવી અને ફરીથી શરૂ કરવાના ચક્કરમાં હું વ્યાજખોરના ચક્કરમાં આવ્યો અને ત્યાર બાદ હું એને વ્યાજ ભરવા માટે અમદાવાદનાં માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઇ ગયો એની મને ખબર જ ના પડી. મારો ફ્લેટ સુદ્ધા એ લોકોએ લખાવી લીધો છે. મારી ગાડીઓ પણ લઇ લીધી છે. મારી વાઇફનાં ઘરેણાં તેમજ મારી મમ્મીનાં ઘરેણા પણ એ લોકોના વ્યાજ ભરવામાં વેચાઇ ગયા છે. મુડી કરતા 10થી 20 ગણુ મેં વ્યાજ ચુકવી દીધું છે. પણ મને એ લોકો માનસિક ટોર્ચર કર્યા કરે છે. એક વખત હતો જ્યારે અમારા સમાજના વર્ષમાં 10 છોકરાને IASની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાડનાર હિમાંશુ વરિયા આજે એને પોતાના છોકરાની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો. કાકા મને હતું કે હું બધું ઓકે કરી દઇશ પણ હવે લિક્વેડિટર અને બેંકના અધિકારીઓએ મળીને મારી 500 કરોડથી પણ વધુ કિંમતની પ્રોપર્ટીને પાણીના ભાવે વેચી રહ્યા છે.
SBIનાં અધિકારીઓને કોઇ પૂછવાવાળું નથી કે કોના કેવાથી SBIના અધિકારીઓએ CD-R એપ્રિવ્ડ કંપનીને એક વર્ષ સુધી ઇમ્પ્લિમેન્ટ ના કરી? સેજલને કહેજો એના ભાઇ તારક પાસે લંડન જતી રહે. ક્રિશને ભણાવે પણ ઇન્ડિયામાં ક્યારેય પણ પાછા ન આવે. અહીં સાચાને સાચા કહેવાના પૈસા લાગે છે અને 5 લાખથી વધારે લોકોને રોજગાર ઉભો કરનારની પણ કોઇ કિંમત નથી. ઘીરુકાકા આઇ એમ સોરી, આશા, અમર, વિનોદ, બાબુ કાકા અને મારા પર ભરોસો રાખી મારો સાથ ના છોડી જનારા મારા મિત્રો અને અમ્પ્લોઇ બધાની હું માફી માંગુ છું. હવે મારીથી વ્યાજખોરોનો ત્રાસ સહન થતો નથી. મમ્મી પપ્પા સોરી, સોરી. ક્રિશને લાઇફમાં NO (નો) કહેતા શીખજો. મારી કોઇને ના નહીં પાડી શકવાની આદતને લીધે આજે મને વ્યાજખોરોએ અહીં સુધી પહોંચાડી લીધો છે. મમ્મી, દાદા અને બા નું ધ્યાન રાખ જે. ધીરુ દાદાને સાથે રાખજે, આપણા કોઇ પણ રિલેટિવ પર ટ્રસ્ટ ના કરીશ. મામા અને મામી કે અએમ કરજે. ધીરુ કાકા સોરી હુ રિયલમાં વ્યાજખોરોથી થાકી ગયો છું.’
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)