અમદાવાદમાં પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ, પ્રેમીએ જ કરી કિન્નરની હત્યા

અમદાવાદનાં સરદારનગરમાં કિન્નરને યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ઼્યો છે. પ્રેમીના અન્ય સાથેના સંબંધની શંકા અને વ્હેમનાં કારણે કિન્નરે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં કિન્નરની હત્યા થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. નોબલનગરમાં આવેલા વાલ્મિકીનગરમાં રહેતા મમતા માસીને તેના જ પ્રેમીએ હથિયારનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, મમતા માસી, તેનો પ્રેમી અજય નાળીયા અને અન્ય એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી વાલ્મિકી આવાસમાં ભાડે રહેતા હતાં.
જોકે, કેટલાક સમયથી મમતામાસી તેમજ અજય વચ્ચે તકરાર ચાલી રહી હતી. મળતી માહિતી પ્રમાણે મમતા માસીને શંકા હતી કે, તેના પ્રેમી અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત આ બાબતને લઇને બોલાચાલી થતી હતી. જોકે, આજે ઉગ્ર બોલાચાલી થતાં અજયે મમતા માસીને છાતીના ભાગે હથિયારનો એક ઘા માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મમતા માસીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. સ્થાનિક પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)