ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દાહોદ દ્વારા ગરબાડા અને દેવગઢ બારીયા ખાતે આકસ્મિક તપાસ ખાધ પદાર્થોના નમૂના

- ખાધ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા, લાયસન્સ વિના વેપાર કરતી ૭ પેઢીઓને નોટીસ
દાહોદ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા ગરબાડા અને દેવગઢ બારીયા ખાતે ખાધ પદાર્થોના વેચાણ કરતા કુલ ૧૭ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં વિવિધ ખાધ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, ઠંડા પીણાની એકસપાયરી ડેટવાળી બોટલોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો અને લાયસન્સ વિના વેપાર કરતી ૭ પેઢીઓને નોટીસ આપવામાં આવી છે.
શ્રી જી.સી તડવીની અધ્યક્ષતામાં ફૂડ સેફટી ઓફીસર શ્રી એ.પી. ખરાડીએ અખાધ પદાર્થો વેચતા વેપારીઓ સામે ગત તા. ૧૧ અને ૧૪ ફેબ્રુઆરીના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગરબાડા તાલુકામાં ૧૦ વેપારીઓ સામે તપાસ કરવામાં આવી હતી જેમાં ફરસાણમાં વપરાતા ખાધ તેલની ટીપીસી મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને ફરસાણના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ઠંડા પીણાની અંદાજે ૭૦૦ રૂ. જેટલી કિંમતની બોટલો જેની એકસપાયરી ડેટ જતી રહી હતી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીની સામું નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેવગઢ બારીયામાં દૂધ ધીનું વેચાણ કરતી ડેરીઓમાંથી મિક્સ દૂધ અને ઘી તથા રીફાઇન્ડ રાયડા તેલના નમુના પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૭ ફરસાણની દુકાનોમાં તેલની ચકાસણી કરવામાં આવી હતી અને લાયસન્સ વિના વેપાર કરતી ૭ પેઢીઓને નોટીસ આપવામાં આવી છે. જે વેપારીઓના ખાધ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે તેમની સામું રિપોર્ટ આવ્યા બાદ કડક પગલાં લેવામાં આવશે.
રીપોટ :- જેની શૈખ