જોરાવાસણમાં દીપડીએ વાછરડાંનો શિકાર કરતાં લોકોમાં ભયનો માહોલ

- ત્રણ બચ્ચાં સાથે ખરેરા નદી કાંઠાનાં ખેતરોમાં દીપડી ફરતી હોવાની આશંકા
વલસાડ
વલસાડ તાલુકાનાં ડુંગરી નજીક આવેલા જોરાવાસણ ગામ થઈને વહેતી ખરેરા નદી કાંઠે સીમમાં ખેતીવાડી વિસ્તારોને હવે હિંસક પ્રાણીઓએ પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ છે. ખેતરે જતાં ખેડૂતો અને ઢોર ચરાવવા જતાં ગોપાલકોને છેલ્લા બેત્રણ મહિનાઓથી ત્રણ નાનાં નાનાં બચ્ચાંઓ હિંસક પ્રાણી દીપડી સાથે વિચરણ કરતી નજરે ચઢતાં લોકોમાં ભયનું આવરણ છવાઈ ગયું છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય એ છે કે ગતરોજ મોદી સાંજે જોરાવાસણના ખેડૂત જયંતીભાઈ બાવાભાઈ પટેલ નાં ખેતરમાં ઘાસ ચરી રહેલ બે વર્ષની ઉંમર ના એક નાનકડા વાછરડાંને આ હિંસક પ્રાણી દીપડી એ શિકાર બનાવ્યુ હતું.
બીજા દિવસે સવારે ૯ – ૦૦ કલાકે ખેડૂત જયંતીભાઈ પટેલ ખેતરે પહોંચ્યા ત્યારે વાછરડું નહીં દેખાતાં તેમણે આજુબાજુમાં શોધખોળ કરી હતી. ત્યારબાદ બાજુના ધાસવાળા ખેતરમાં ખેતરમાં હિંસક પશુના પગલાં અને દૂર જંગલી ઝાડીઓમાં ખેંચી લઈ જઈને દીપડીએ વાછરડાંને શિકાર બનાવ્યો હોવાનું જણાયું હતું. આમ મહા મહેનતે ઉછરેલ વાછરડાં ને હિંસક પ્રાણીએ શિકાર બનવી લેતા ખેડૂતો પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને હિંસક પ્રાણીના ડરથી ખેતરે જવું પણ ખેડૂતો માટે ભયથી ભરેલું બની ગયું છે.
જો કે આ બનાવ અંગે ગામનાં ખેતરોમાં ફરતાં હિંસક પશુને વહેલી તકે ઝડપી પાડવા માટે ગ્રામ પંચાયત તથા ઉત્તર વન વિભાગ વલસાડ નાં ઈન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દીપેશભાઈ ભગત ને ખેડૂત જયંતીભાઈ પટેલ અને સામાજીક કાર્યકર વિજયભાઈ પટેલ દ્વારા ટેલિફોનિક જાણ કરી પાંજરું મુકવા ખેડૂતોનાં રક્ષણ માટે લેખિત માંગણી કરી હતી. ત્યારે ઉત્તર વન વિભાગ વલસાડનાં ઇન્ચાર્જ આર. એફ.ઓ. દીપેશભાઈ ભગત અને જંગલ ખાતાની ટીમે આજરોજ સવારે ૧૦ – ૦૦ કલાકે જોરાવાસણની સીમમાં બનેલ હિંસક ઘટના અંગે ઘટના સ્થળે જઇને નિરીક્ષણ કરી ઝાડની ડાળખીઓ વડે ઢાંકી ને એક પાંજરું ગોઠવ્યું હતું. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં ભય ફેલાવનાર હિંસક પશુ વહેલી તકે પાંજરે પુરાય જાય તો ગામલોકોને રાહત થશે. અને વાછરડું ગુમાવનાર ખેડૂતને પણ સરકાર દ્વારા કોઈ સહાય મળે એવી માંગણીઓ ઉઠી છે.
રિપોર્ટ : રમેશ તિવારી (વલસાડ)