વજેગઢમાં રહેતા વાલી વારસાને બાળકી શોધી સુપરત કરતી થરાદ પોલીસ

થરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી મળેલ બાળકીને પોતાના વાલી વારસાને થરાદ પોલીસે પરત કરતા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ અધિકારી બનાસકાંઠા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. વાળાનાઓએ ગુમ થયેલ બાળકીને શોધી કાઢવા માટે થરાદ પોલીસને સુચના કરતાં પીઆઈ જે.બી. ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.બી. દેવડા તથા સ્ટાફ પેટ્રોલિંગ કરતા હતા, તે સમયે થરાદ ચાર રસ્તા પાસે આવેલ લખાપીર હોટલની પાસેથી એક બાળકી મળી આવતાં તે તેના વાલી વારસાથી વિખુટી પડી હોવાનું જણાઈ આવ્યું હતું.
વાલી વારસાને શોધી કાઢવા જાતે તેમજ સ્ટાફના માણસો મારફતે સહિત લોકલ પબ્લિક મારફતે ટાઉન વિસ્તાર અને આજુબાજુના ગામડાઓમાં તપાસ કરતાં થરાદ ટાઉન પાસે આવેલ વજેગઢ ગામની નટ કોલોનીમાં રહેતી અનિતાબેન સાવનભાઈ નટ જેઓ મળી આવતા તેમની પુછપરછ હાથ ધરતાં પોતાની બાળકી ખોવાઈ હોવાનુ જણાવ્યુ હતું, જોકે અનીતાબેન નટની બાળકી ખોવાઈ હોવાનુ જણાવતા પોલીસ સ્ટેશનમાં લાવી સદરહું બાળકી બતાવતા ઓળખી ગયેલ અને બાળકીનું નામ નંદીની હોવાનું જણાવ્યું હતું તેમજ તે સવારના સમયે ઘરેથી છુટી પડી ગયેલ હોઈ થરાદ પોલીસની સક્રિય કામગીરીને કારણે માતા પુત્રીનું સુખદ મિલન કરાવતા થરાદ પોલીસની કામગીરી પ્રસંશાને પાત્ર બનવાની સાથે સાથે માનવતાના પણ દર્શન કરાવ્યા હતા.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ