કેદીઓની પરિવાર સાથે ઈ-મુલાકાત

ભારતમાં સૌ પ્રથમ જામનગર જિલ્લા જેલમાં કેદી પણ ડિજિટલનો ઉપયોગ કરવા લાગ્યા અને વીડિયો કોલ મારફતે પરિવાર સાથે ઇ મુલાકાત કરી હતી. હાલારની પોસ્ટ ઓફીસે લોકડાઉનમાં કેદીઓ માટે ઇ-મનીઓર્ડર સુવિધા શરૂ કરી છે. જામનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન લોહારની આગેવાની અને માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને કેદીઓની ઇ મુલાકાત કરાવી હતી. જેલ અધિક્ષક નાસિરૂદ્દીન ચિત્રલેખા ડોટ કોમને કહે છે લોકડાઉનના કારણે કેદીઓની પરિવાર સાથે રૂબરૂ મુલાકાતની સુવિધા બંધ કરી છે ત્યારે આ પરિસ્થિતિમાં કેદીઓ અને એના પરિવારજનો એકમેકને નિહાળી શકે અને એકમેકના સ્વાસ્થ્ય સુખમય હોવાનું જાણી શકે તે આશયથી ગુજરાત જેલ વિભાગ દ્વારા ઇ-મુલાકાત સુવિધા તમામ જેલોમાં શરૂ કરવામાં આવી છે.
આ સુવિધાનો લાભ લેવા માટે કેદીઓના વિશ્વભરમાં કોઇપણ જગ્યાએ રહેતા પરિવારજનો, મિત્રો પ્રથમ પોતાના મોબાઈલમાં vidyomobile એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટ eprisons.nic.in પર emulakat સેક્શનમાં જઇ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મુલાકાત રજીસ્ટર થયા બાદ આ દરખાસ્તને જેલ દ્વારા મંજૂરી અપાતા રજીસ્ટ્રેશન કરનારના મોબાઇલ પર લિંક મોકલાશે. આ લીંક ખોલતા વિડીયોકોલ કનેક્ટ થઇ જશે.