મંત્રાલય બે દિવસ માટે બંધ રહેશે
મુંબઇ મંત્રાલયમાં કામ કરતા ચાર અધિકારીઓનો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તમામ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઍડિશનલ ચીફ સેક્રેટરી સર્વિસ સિતારામ ખૂંટેએ જણાવ્યું હતું કે બે દિવસ મંત્રાયલ બંધ રહેશે. જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે બે દિવસ સૅનિટાઇઝેશનનું કામ ચાલશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળ રાજ્યના મંત્રીમંડળના સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યું હતું. તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને અરજી કરતાં કહ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેઓ તેમના વ્યક્તિગત ક્વોટાથી વિધાન પરિષદના સભ્ય બનાવે.
મંત્રીમંડળે સોમવારે ફરી એક વખત નવી ભલામણ કરતાં ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદની રાજ્યપાલના અખત્યાર હેઠળની બે ખાલી બેઠકોમાંથી એક બેઠક પર નિયુક્ત કરવાની અરજી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કરી હતી. નિયમ મુજબ મુખ્ય પ્રધાન બન્યાના છ મહિનાની અંદર ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું જરૂરી છે. જો એવું નહીં થાય તો તેમણે રાજીનામું આપવું પડે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા ગયેલા પ્રધાનોના પ્રતિનિધિ મંડળમાં મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાત, જળ સંસાધન પ્રધાન જયંત પાટીલ, અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળ, શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે, સંસદીય બાબાતોના પ્રધાન અનિલ પરબ અને ટેક્સટાઇલ મિનિસ્ટર અસલમ શેખનો સમાવેશ હતો.