રાજ્યવ્યાપી આદેશોમાં કચ્છના આઇજી અને ત્રણ એસપીની પણ બદલીઓ

- નવા આઇજી તરીકે જે.આર. મોથાળીયા, પશ્ચિમ કચ્છ એસપી સાૈરભ સિંઘ, પૂર્વ કચ્છમાં મયુર પાટીલ તથા આઇબીના એસપી તરીકે ભગીરથસિંહ જાડેજાની નિમણૂંક
શનિવાર મોડી રાત્રે રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા હતાં. જેમાં 2006 બેચના 12 અધિકારીઓને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. તો કચ્છના આઇજીની સાથે બે એસપી તથા આઇબીના એસપીની પણ બદલી કરાઇ છે. તેમના સ્થાને નવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આઇજી સુભાષ જી ત્રિવેદીની સીઆઇડી ક્રાઇમ (રેલવે)માં આઇજી તરીકે બદલી કરવામાં આવી હતી. તો તેમના સ્થાને બોર્ડર રેન્જ આઇજી તરીકે અમદાવાદ ટ્રાફિકના સંયુંક્ત કમિશનર જે.આર. મોથાળીયાને મુકવામાં આવ્યા છે.
પશ્ચિમ કચ્છ એસપી સાૈરભ તાૈલંબિયાની બદલી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના એસપી તરીકે કરાઇ હતી. તેમના સ્થાને ભુજમાં એસપી તરીકે જુનાગઢથી બદલી થયેલા એસપી સાૈરભ સિંઘને મુકવામાં આવ્યા છે. તો પૂર્વ કચ્છના એસપી પરિક્ષીતા રાઠોડની બદલી પશ્ચિમ રેલવેના એસપી તરીકે થઇ હતી. તેમના સ્થાને ગાંધીધામમાં એસપી તરીકે અરવલ્લીના એસપી મયુર પાટીલને પૂર્વ કચ્છમાં મુકાયા હતાં. તો ભુજમાં આઇબીના એસપી યુવરાજસિંહ જાડેજાની પણ બદલી કરાઇ હતી. તેમને ગાંધીનગર ખાતે આઇબીના એસપી તરીકે મુકાયા હતાં.
કચ્છમાં તેમના સ્થાને ગાંધીનગરના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી ભગીરથસિંહ જાડેજાને મુકવામાં આવ્યા હતાં. આ બદલીઓમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)