વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ વન મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાને લખ્યો પત્ર

10 ઓગસ્ટ, 2020ના રોજ વિશ્વ સિંહ દિવસે યોજાયેલ રાષ્ટ્રીય વેબિનારમાં ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા ગુજરાત વનવિભાગનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું. જેમાં તેઓ દ્વારા ગુજરાતની શાન સમાન એશિયાઈ સિંહોનું અપમાન, વન્યજીવોના વ્યાપારીકરણ તથા વન્યપ્રાણી સંરક્ષણ વિરુદ્ધની વિચારસરણીવાળું નિવેદન આપવામાં આવેલ, જેનાથી સમગ્ર વિશ્વના સિંહપ્રેમીઓ તથા વન્યજીવપ્રેમીઓમાં હડકંપ મચી ગયેલ. તેઓએ નિવેદન આપેલ કે,
- ‘એશિયાઈ સિંહોને સંપત્તિ તરીકે નહીં પર સંસાધન તરીકે જોવું જોઈએ.’ કેન્દ્રના ઉચ્ચ અધિકારી કહે છે કે, ‘સિંહ ગુજરાતની અસ્મિતા છે’ અને રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન કહે છે કે, ‘સિંહોને એસેટ કે અસ્મિતા તરીકે ન જોવા જોઈએ’. આવું નિવેદન રાજ્યની પ્રજાના અપમાન સમાન છે.
- ‘70-80% એશિયાઈ સિંહો જંગલી નથી રહ્યા.’ જો એશિયાઈ સિંહો જંગલી નથી રહ્યા અને પાલતુ થઈ ગયા છે તો આ બાબતે ગુજરાત વન વિભાગ જવાબદાર છે કે ગુજરાત સરકાર ? આ નિવેદન દ્વારા ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને ગુજરાત સરકાર અને ગુજરાત વનવિભાગની કાર્યપદ્ધતિ પર જોરદાર લપડાક લગાવી છે.
- ગીરમાં માનવ અને સિંહો વચ્ચેના વિશ્વવિખ્યાત સહઅસ્તિત્વ વિશે તેઓએ કહ્યું છે કે, ‘આપણે એવા ઘાતક બોમ્બ પર બેઠા છીએ જે કોઈપણ સમયે વિસ્ફોટ કરી શકે છે’. આ નિવેદન ગીરના સ્થાનિકો અને સિંહો વચ્ચે ભવિષ્યમાં સંઘર્ષ થશે તેવું ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન કહેવા માંગે છે. સિંહોને સમૃદ્ધ કરવામાં સૌથી મોટો સહકાર અને ભોગ સ્થાનિકોએ આપેલ છે.
- ‘આપણે સિંહ અને વાઘનું બ્રાન્ડીંગ ખૂબ કરેલું છે પરંતુ આપણે તેને વેચી શકતા નથી, તેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની સુધારણા એવી રીતે થવી જોઈએ કે આપણે વન્યપ્રાણીને સંપત્તિ તરીકે નહીં પણ સંસાધન તરીકે ગણીએ.’ સમગ્ર ગુજરાતના વન્યજીવ સૃષ્ટિની બાગડોર જેઓના હાથમાં છે તેઓના મુખેથી વન્યજીવ સૃષ્ટિના સંવર્ધનને બદલે એને વેચવાની, વ્યાપારીકરણ કરવાની વાત સાંભળીને વન્યજીવ પ્રેમીઓ અને સિંહપ્રેમીઓમાં આશ્ચર્ય સાથે ઊંડો આઘાત લાગ્યો છે.
- ‘માનવી અને સિંહો જેવા મોટા શિકારી સાથે સાથે ન જ રહી શકે.’ ત્યારે 300થી વધુ ગામડાના રેવન્યુ વિસ્તારોમાં માનવ વસ્તીની નજીક રહેનારા સિંહોને વેચી નાંખવા માંગે છે કે ખતમ કરી નાંખવા માંગે છે કે પછી મધ્યપ્રદેશ સ્થળાંતર કરવા માંગે છે ?
- ‘જેટલી સંખ્યા ઓછી હોય તેટલું સિંહોનું વ્યવસ્થાપન સારૂ થઈ શકે.’ એક તરફ એશિયાઈ સિંહો ભેદી રોગના સંક્રમણ હેઠળ મોતને ભેટી રહ્યા છે. નિરંતર સિંહોના મોતના સમાચાર વચ્ચે સિંહની વસ્તી 674 જેટલી થઈ છે. માન. વડાપ્રધાનશ્રીએ આ અંગે આનંદ વ્યક્ત કર્યો છે ત્યારે ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનનું આ નિવેદન વિરોધાભાસી છે.
- ‘આફ્રિકાના દેશોની જેમ આપણે વન્યપ્રાણીસૃષ્ટિને સંસાધન તરીકે જોવું જોઈએ. સિંહ અને હરણ પૈસા અને પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે.’ કોઈપણ રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનનો ધ્યેય પોતાના રાજ્યની વન્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ અને સંવર્ધનનો હોવો જોઈએ તેના બદલે આવું નિવેદન ભારત દેશના વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટની વિરુદ્ધ ગણી શકાય.
ગીરમાં સ્થાનિકો, ખેડૂતો વગેરેએ સિંહ અને વન્યજીવો માટે અનેક બલિદાન આપ્યા છે. કોઈએ પોતાના સ્વજનને વન્યપ્રાણીના હુમલામાં ગુમાવ્યા, કોઈએ પોતાના અંગ ગુમાવ્યા, અસંખ્ય લોકો એવા છે કે જેમના હજારો રૂપિયાના માલઢોરનું સિંહો દ્વારા મારણ થાય છે, છતાંય તેઓએ ક્યારેય સિંહ વિરોધી સુર ઉચ્ચાર્યો નથી કે સિંહોને ગુજરાત બહાર લઈ જવાની માંગણી કરી નથી. તેઓ સિંહને ગુજરાત બહાર નહીં મોકલવા માટે પોતાનું લોહી રેડી દેવા તૈયાર છે ત્યારે ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા કરવામાં આવેલ નિવેદન આઘાતજનક અને અયોગ્ય છે, જેથી તેમની સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવા દર્શાવેલ વિગતે તાત્કાલિક જરૂરી તપાસ કરાવી, નિયમોનુસારની કાર્યવાહી સત્વરે કરાવવા વિનંતી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)