સ્થાનિક સમસ્યાના નિરાકરણ માટે વહીવટદાર દ્વારા મોરબીમાં લોક દરબારનું આયોજન

- વોર્ડ વાઈઝ લોક દરબારના આયોજન થકી સ્થાનિક સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવાના પ્રયાસો શરૂ : પ્રથમ દિવસે વોર્ડ નંબર એકમાં સ્થાનિકોની સમસ્યા ધ્યાને લઈને નિરાકરણ લાવવાના પ્રયાસોનો પ્રારંભ કરાવતા ચીફ ઓફિસર
મોરબી: પાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પુરી થતા હાલ વહીવટદારના હાથમાં શાસનધુરા આવી છે ત્યારે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોના પ્રાણપ્રશ્નોનું નિરાકરણ લાવવાની કવાયતના ભાગ રૂપે વોર્ડ વાઈઝ લોકદરબારનું આયોજન શરૂ થયું છે. જે અંતર્ગત આજે ગુરુવારે સવારે વોર્ડ નંબર એકમાં લોકદરબારનું આયોજન થયું હતું.
ઉક્ત લોકદરબારમાં સ્થાનિકો દ્વારા વિવિધ સમસ્યાઓની રજુઆત કરવામાં આવતા સ્થળ પર જ એના નિકાલ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાવડી રોડ પર આવેલા વોર્ડ નંબર એકમાં યોજાયેલા લોક દરબારમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો, પીવાના પાણીની લાઈનમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જતા હોવાની સમસ્યા, રોડ-રસ્તાના પ્રશ્નો, નિયમિત સ્વચ્છતાનો અભાવ સહિતના આઠથી દસ મુખ્ય પ્રશ્નો અંગે ફરિયાદ કરવામાં આવી હતી. લોકદરબારના આયોજનમાં ટોળા સ્વરૂપે આવીને પણ રજુઆત કરવામાં આવીહતી. સ્થળ પર જ નિકાલ થઇ શકે એવા પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો.
વહીવટદાર ગિરીશ સરૈયા દ્વારા જે-તે વિભાગના અધિકારીઓને સ્થળ પર હાજર રખાયા હોવાથી અમુક સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જયારે નિકાલ માટે આયોજન માંગી લેતી સમસ્યાઓના નિકાલ માટે 8થી 10 દિવસની મુદત હાલ તો આપવામાં આવી છે. આજથી પ્રારંભ થયેલા લોકદરબારનો આ પ્રથમ રાઉન્ડ છે. આ એક રાઉન્ડ પૂરાં થયા બાદ બીજા રાઉન્ડમાં અન્ય સોસાયટીઓને આવરી લેવામાં આવશે એમ ગિરીશ સરૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ક્રમશ: આ રીતે મોરબી શહેરના તમામ વિસ્તારોમાં લોકદરબાર નું આયોજન કરી ટૂંકા કે લાંબા ગાળાની તમામ સમસ્યાઓનું સ્થાઈ નિરાકરણ લાવવાના પ્રયાસો થશે. આજે લોકદરબારના પ્રથમ રાઉન્ડના પ્રથમ દિવસે ખાસ કરીને કચરો એકઠો થી જવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આજે આવેલી ફરિયાદો જોઈએ તો, જયદીપ સિંહ રાઠોડ દ્વારા થયેલી રજુઆતમાં શંકર ભગવાનના મંદિર પાસે ચોકની બંધ લાઇટ, સેન્ટમેરી સ્કૂલની પાછળ સ્ટાફ ક્વાર્ટર પાણીનું કનેક્શન, ન્યુ શ્રદ્ધાપાર્ક રોડ ડાયવર્ઝન પાણી અને ગટરના પ્રશ્ન, સોમૈયા સોસાયટીમાં દરવાજા પાસે જ કચરાની ફરિયાદ, તથા અનિયમિત અને ગંદુ પાણી આવવાની ફરિયાદ, રામપાર્કમાં પાણીની લાઇન લીકેજની ફરિયાદ તેમજ સ્વાતિ પાર્ક સોસાયટીમાં રોડ રસ્તા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કચરા અંગેની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
રીપોર્ટ : જનક રાજા, મોરબી