મોરબીમાં કોરોના રસીકરણનો પ્રારંભ : ડો. જયંતી ભાડેશીયા સહિતના ડોક્ટરોએ રસી મુકાવી

- પ્રથમ ચરણમાં ખાનગી 9 ડોક્ટરો તેમજ 91 સરકારી હોસ્પિટલના સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યું
મોરબી : સમગ્ર દેશની સાથે આજે મોરબીમાં કોરોનાને અંકુશ લેવા માટે મહત્વની કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબબકે મોરબી જિલ્લાના બે સ્થળે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં તથા હળવદ તાલુકાના સાપકડા પીએચસી સેન્ટર ખાતે આજે કોરોના રસીકરણનો શુભારભ થયો હતો.
મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો સાંસદ મોહનભાઇ કૂડારિયાના હસ્તે પ્રારંભ થયો હતો. તેમની સાથે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, આરએસએસના અગ્રણી અને નામાંકિત ડો.જયંતીભાઈ ભાડેશીયા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયા, ડો.સરડવા સહિતની મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં આરએસએસના અગ્રણી ડો.જયંતીભાઈ ભાડેશીયાને પ્રથમ રસી તેમજ બીજી રસી આઈએમએના પ્રમુખ ડો.વિજય ગઢિયાને આપવામાં આવી હતી. આ તકે ખાનગી 9 ડોક્ટરો તેમજ બાકીના 91 સરકારી હોસ્પિટલના સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રથમ રસી લેનાર ડો.ભાડેશીયાએ જણાવ્યું હતું કે કોરોના રસીકરણથી કોઈ આડ અસર થતી નથી. કોરોના સામે જંગ જીતવા દરેકે રસીકરણ કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી