જૂનાગઢમાં જાહેર મિલ્કતો પર બેનર્સ હોર્ડીગ્સ લગાડવા પર પ્રતિબંધ
જૂનાગઢ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેના ટેકેદારો દ્વારા પોસ્ટર, બેનર્સ, હોડિંગ્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય, ચૂંટણી મુકત, ન્યાયી તથા પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરે ના ઉપયોગ નિયંત્રીત કરવા જરૂરી જણાય છે.
જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.સૌરભ પારધી દ્વારા ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ હેઠળ સમગ્ર જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬ તથા ૧૫ના મત વિસ્તારમાં તા.૨૬ ફેબ્રુઆરી સુધી તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત, ચૂંટણી હેઠળની તમામ તાલુકા પંચાયતો તથા કેશોદ નગરપાલિકાના મતદાર વિસ્તારમાં તા.૫ માર્ચ ૨૦૨૧ સુધી ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર્સ, કટ આઉટ મુકવા વિગેરે માટે નીચેની બાબતોનો અમલ કરવા હુકમ કરેલ છે. કોઇપણ જાહેર મિલકત/જાહેર જગ્યા પર, દિવાલ પર લખાણ કરવા પોસ્ટર્સ/કાગળો ચોંટાડવા અથવા કોઇપણ રીતે નુકશાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે લગાડવા/પ્રદર્શીત કરવા દેવામાં આવશે નહીં.
આમ છતાં, જો સ્થાનિક કાયદાઓ, ચુકવણી કરીને કે અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ કરીને મુકરર કરવામાં આવેલા જાહેર સ્થળે જાહેર ખબરનાં સુત્રો લખવાની, પોસ્ટર્સ, વગેરે પ્રદર્શિત કરવાની કે લખાણો, પાટિયા, ઝંડા વગેરે લગાડવાની રજા કે છૂટ આપતા હોય તો, કાયદાની પ્રસ્તુત જોગવાઇઓ પ્રમાણે અને કોર્ટનાં આદેશોને ચુસ્તપણે આધીન રહીને એમ કરવા દેવાની રજા આપવી. એબાબત સુનિશ્ચિત કરવી કે આવી કોઇ જગ્યા પર કોઇ અમુક પક્ષ (પક્ષો) અથવા ઉમેદવાર/ઉમેદવારોનું વર્ચસ્વ/ઇજારો ન હોય, તમામ પક્ષો અને ઉમેદવારોને આ બાબતમાં સમાન તક આપવી. વધુમાં, કોઇપણ ચૂંટણી જાહેર કરવામાં આવ્યા પછી, આ હેતુ માટે આપવામાં આવેલી જગ્યાનો વિસ્તાર વધારવો કે ઘટાડવો નહીં.
કોઇ રાજકીય પક્ષ/ઉમેદવારતથા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણી લક્ષી કટ-આઉટ જાહેરાત પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવશે તો તે ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ની કલમ-૨ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬ તથા ૧૫નાં મતદાર વિસ્તારમાં તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત, ચૂંટણી હેઠળની તમામ તાલુકા પંચાયતો તથા કેશોદ નગરપાલિકાના મતદાર વિસ્તારમાં તા.૫ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. તેમ જૂનાગઢ જીલ્લાના મેજીસ્ટ્રેટશ્રી ડો.સૌરભ પારધીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ