મધ્યાહન ભોજન યોજના કર્મીઓને મૃત્યુ સહાય આપવા માંગ કરાઈ

1 વર્ષથી કોરોનાના સંક્રમણથી મધ્યાહન ભોજન યોજનાના 20 જેટલા કર્મચારીઓના મોત થયા છે. આથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને મૃત્યુ સહાયનો લાભ આપવાની માંગણી કર્મચારીઓમાં ઊઠવા પામી છે. ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
કોરોનાની મહામારીના કારણે 1 વર્ષથી મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રખાયા છે. તેમ છતાં ખાદ્ય સુરક્ષા અંતર્ગત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરાય છે. એપ્રિલ-2021માં 48 દિવસનું અનાજ વિતરણ મધ્યાહન ભોજન, ઉકાળાનું વિતરણ, વેક્સિનેશન, સહિતની કામગીરી મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરી રહ્યા છે. જોકે ઉપરોક્ત કામગીરીમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ 1 વર્ષમાં 20 જેટલા કર્મચારીઓના કોરોનાથી મોત નિપજ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમ છતાં સરકાર દ્વારા કર્મચારીઓને કોરોનાથી અવસાન થતાં મળવાપાત્ર રૂ.25 લાખની સહાયથી વંચિત રાખ્યાનો આક્ષેપ મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર મોહનલાલ જોષીએ કર્યો છે.