રાજકોટ માં ઇ-મેમાના વિરોધમાં ૧૫૦ લોકો અને વકીલો પણ જાહેર હિતાર્થે થયેલા દાવામાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી

રાજકોટ ના જાગૃત વકીલ હેમાન્શુ પારેખ અને ગીરીરાજસિંહ જાડેજાએ પોલીસ કમિશનર A.C.P (ટ્રાફીક) અને કમાન્ડ એન્ડ કંટ્રોલના જવાબદાર અધિકારી તેમજ રાજય સરકાર અને મહાપાલિકા વિરુદ્ધ કોર્ટમાં જાહેર હિતમાં દાવો કર્યો છે. આ દાવાની જાહેર થયેલી જાહેર નોટીસના અનુસંધાને આજરોજ અદાલતમાં મુદત હતી. જે લોકો ઇ-મેમાનો ભોગ બન્યા હતા અસંખ્ય લોકો દાવામાં જોડાયા હતા. પોલીસ ખાતાને ઇ-મેમાનો દંડ ઉઘરાવાની કોઇ સત્તા કે અધિકાર નથી. C.C.T.V કેમેરા ગુન્હેગારો પકડાવા અને ટ્રાફીક નિયંત્રણ માટે લગાડવામાં આવ્યા છે. તેના બદલે સામાન્ય નાગરીકોને દંડ વસુલ કરવાનું હથિયાર તરીકે ઉપયોગ કરી કાયદા વિરોધ ઉઘરાણી કરવામાં આવે છે. ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુનો સાબીત થયા વગર કોઇપણ પ્રકારના ઇ-મેમો કે ઇ-ચલણ ઇશ્યુ કરવા પોલીસને કોઇ સત્તા કે અધિકાર નથી તે છતાં પોલીસ તંત્ર દ્વારા આડેધડ ઇ-મેમા પાઠવી દંડ વસુલવામાં આવતા હોવાનો દાવામાં ઉલ્લેખ થયો છે. રાજકોટ મહાનગરપાલિકા વતી એડવોકેટ મુકેશભાઇ કેશરીયાએ વકીલાતનામુ મુકયુ જયારે પોલીસ તંત્ર વતી એડવોકેટ તરીકે સરકારી પ્રશાંતભાઇ પટેલ ઉપસ્થિત રહી જવાબ માટે મુદત માંગતા અદાલત દ્વારા તા.૯ જુલાઇ સુધી જવાબ રજુ કરવા એ.ડી.સીનીયર સીવીલ જજ એસ.જે.પંચાલે આદેશ કર્યો છે. એડવોકેટ તરફે કે.ડી.શાહ અને સંજય શાહ રોકાયા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.