બનાસકાંઠા જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાન પ્રારંભ મુખ્યમંત્રી હસ્તે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ મહાભિયાનના પ્રારંભ અવસરે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, બદલાતી જતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જાનલેવા બની જાય છે
પહેલું સુખ તે જાતે નર્યા’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ ‘નિરામય ગુજરાત’ અભિયાન આદર્યું છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જાણાવ્યું કે, આ અભિયાન તહેત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને ત્રીસ વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન:” નો ધ્યેય પાર પાડશે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરીકોના આરોગ્યની ચિંતા કરીને કોરોના મહામારી દરમિયાન વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. એટલુ જ નહીં, સ્વચ્છતા અભિયાન, ઘર ઘર ટોઇલેટ, દરેકને ઘર, નલ સે જલ, ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ આપીને હવે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે આયુષ્માન ભારત- PMJAY કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓનો સફળ અમલ કર્યો છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરિયાતમંદ પરીવારો અવશ્ય મેળવી લે તેવી અપિલ પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી નરેંદ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહે કંડરેલી વિકાસની કેડી પર વધુ દ્રઢતા સાથે ગુજરાતને આગળ વધારવાની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્તમાન સરકારની આ નવી ટિમ રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાઓના લાભ પહોચે તે માટે સંપૂર્ણ કટીબદ્ધ છે.
બેઝીક એટલે કે મૂળભૂત જરૂરીયાતોમાં કોઇ ઉણપ ન રહે અને જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ થાય તેવી આ સરકારની પ્રતિબદ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અને શિક્ષણ સહિતની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ જન-જન સુધી પહોચાડી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા જન સહયોગથી આગળ વધવાનું આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.
આ પ્રસંગે મુખ્મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘ સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યયમંત્રીશ્રીએ આ પ્રસંગે ફૂટબોલની મહિલા ખેલાડીઓ સાથે શુભેચ્છા્ મુલાકાત કરી હતી.
આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભ ના સમયે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીશ્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવો ઇ- માધ્યમ થી જોડાયા હતા.
આ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમારી સરકાર નાનામાં નાના માણસ અને છેવાડાના માણસની ચિંતા કરતી સરકાર છે તેમણે લોકોને ‘નિરામય ગુજરાત’ યોજનાનો લાભ લેવા અપીલ કરતા જણાવ્યું કે, લોકોની સુખાકારી માટે અને તમામ તકલીફો દૂર કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ તેમજ સતત તત્પર છે.
આરોગ્ય અને તબીબી સેવા કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે નિરામય ગુજરાતની રૂપરેખા આપતા જણાવ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે
હાલ જે બીન ચેપી બિમારીઓનો વ્યાપ વધી રહ્યો છે અને તેના લીધે ઘણા લોકોની બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તેથી તેમની સમયસર નિદાન થાય તે જરૂરી છે જેને લઈ સ્કીંનિગથી સારવાર સુધીનો આ કાર્યક્રમ હાથ ધરાવામાં આવ્યો છે. નિરામય ગુજરાતથી સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર શ્રીમતિ રેમ્યા મોહને મહેમાનોનો સ્વાગત આવકાર આપી જરૂરીયાતમંદ લોકોને સમયસર સારવાર અને નિદાન માટે હાથ ધરાયેલી કામગીરીની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી પરબત ભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી શ્રી નંદાજી ઠાકોર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી હેતલબેન રાવળ, ભારત સરકારના પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા કલકટરશ્રી આનંદ પટેલ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે તેમજ આરોગ્ય વિભાગના અધિકારીગણ અને લાભાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ