બનાસકાંઠા: કોરોના માં મૃત્યુ પામેલા શિક્ષક નાં વારસદાર ને સહાય

કોરોના કાળમાં મૃત્યુ પામનાર શિક્ષકોના વારસદારોને સહાય આપવા ધી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રા. સહકારી મંડળી લી. દ્વારા પાલનપુર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સંવેદનાસભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા ૪૫ શિક્ષકોના પરિવારજનોને શિક્ષકોની મંડળી દ્વારા રૂ. ૧ – ૧ લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮ – ૮ લાખની ઉચ્ચક સહાયના ચેક મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણના હુકમો પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ કોરોના કાળમાં મૃત્યુ પામેલ શિક્ષકોને શ્રધ્ધાજંલિ પાઠવતાં જણાવ્યું કે, સ્વજનોની ખોટ ક્યારેય પુરી શકાતી નથી પરંતું મૃતક શિક્ષકોના પરિવારોને હુંફ અને સંવેદના પુરી પાડવા આ કાર્યક્રમ યોજાયો છે. તેમણે કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં શિક્ષણ પરિવારે ઘણું બધુ ગુમાવ્યું છે તેની સાથે સાથે શિક્ષણ પરિવારે સમાજને ઘણું બધુ આપ્યુંણ પણ છે. તેમણે ઉમેર્યુ કે, કોરોનાના સમયમાં શિક્ષકોએ ૫૦ લાખથી વધુ કીટ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨ કરોડની માતબર રકમનું દાન કરી સામાજિક દાયિત્વ સારી રીતે નિભાવ્યું છે તે બદલ શિક્ષણ પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. મંત્રીશ્રીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો આંતરરાષ્ટ્રી્ય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે. ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાએ આજે આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી છે. તેમણે શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું કે, કોરોનાના લીધે પડેલી ટીચીંગ લોસ ને પુરી કરવા આપણા લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે ૧૦૦ કલાક સમયદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો છે ત્યારે આ સમયદાનના કાર્યક્રમમાં જોડાઇને આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યઉના નિર્માણ કાર્યમાં સહભાગી બનીએ. આપણા પરિવારની જેમ જ વિધાર્થીઓના શિક્ષણની ચિંતા કરીને દેશનું ભવિષ્યા ઉજ્જવળ બનાવવા તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતને વિશ્વગુરૂ બનાવવા માગે છે તેમાં શિક્ષણ વિભાગનું બહુ મહત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણથી સરકારી શાળાઓમાં શિક્ષણ અને શિક્ષણ સંકુલોને અપગ્રેડ કરી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવામાં આવશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨ લાખથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતુ.
આ પ્રસંગે રાજય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ર્ડા. એમ. આઇ. જોષી, અગ્રણીશ્રી નંદાજી ઠાકોર અને શ્રી ગુમાનસિંહ ચૌહાણે પ્રાસંગીક પ્રવચનમાં મૃતક શિક્ષકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં બે મીનીટનું મૌન પાળી મૃતક શિક્ષકોને શ્રધ્ધાજંલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી કનુભાઇ વ્યાસ, શ્રી અશ્વિનભાઇ સક્સેના, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંજય દવે સહિત પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, શિક્ષકો અને મૃતક શિક્ષકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)