નારાયણ ભક્તો દ્વારા ગુરૂ વંદના કરવા બે કિલોમીટર સુધી ભક્તોનું ઉભરાયુ કીડીયારૂ

- ગુરૂ વંદના કરવા રાજભરમાંથી તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાંથી બે લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડ્યા
સુપ્રસિધ્ધ યાત્રાધામ નારાયણ ધામ તાજપુરા ખાતે આજે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભક્તજનોનો સાગર દેખાતો હતો. વહેલી સવારથી પૂ. નારાયણ બાપુના નામે ભારે જય ઘોષ વચ્ચે લગભગ બે કિલોમીટર સુધી ભક્તોનું કીડીયારૂ ઉભરાયુ હતુ. એક અંદાજ મુજબ બે લાખથી વધુ નારાયણ ભક્તો ગુરૂવંદના કરવા ઉમટ્યા હતા. ગુરૂ પૂર્ણિમાના રોજ ગુરુ વંદના કરવા અર્થે નારાયણ ધામ તાજપુરા ખાતે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં તાજપુરા તરફ આવતા જોવા મળતા હતા. ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરૂ પૂર્ણિમા ને લઈને વહેલી સવારથી જ ભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વહેલી સવારે પાંચ વાગ્યાથી ગુફામાં પ.પૂ. બાપુજીનો ગંગાજળ અભિષેક ત્યારબાદ પાદુકા પૂજન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂ. બાપુજીની પાદુકાની શોભાયાત્રા નીકળી હતી. જે બાદ સમૂહ પ્રાર્થનામાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. પ્રાર્થના સભા ભક્તોથી ખીચોખીચ ભરેલી જોવા મળતી હતી, પછી આરતી કરવામાં આવી હતી. છેલ્લે થાળ ધરવામાં આવ્યો હતો. જ્યારે ગુરુ વંદના કરવા આવેલ ભક્તોએ શિસ્તબધ્ધ રીતે લાંબી લાંબી કતારોમાં ઉભા રહી બ્રહ્મલીન પૂ.બાપુજીની સમાધિને શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા. આ દરમિયાન ચારેકોર નારાયણ બાપુ કી જય ના ભારે જય ઘોષ સંભળાતા હતા.
શાંતિપૂર્ણ માહોલમાં ગુરૂ પૂર્ણિમા સંપન્ન થાય તે અર્થે હાલોલ રૂરલ પોલીસ દ્વારા તાજપુરા પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની સૂચક હાજરી તેમજ માર્ગદર્શન સાથે ત્રણ પી.આઈ. તથા નવ પી.એસ.આઈ. તેમજ બસો ઉપરાંત પોલીસ કર્મીઓ સુરક્ષાવ્યવસ્થા તૈનાત હતા. ગુરૂ વંદના કરવા રાજભરમાંથી તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાંથી બે લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા. જેઓ માટે ચાર હજાર કિલો બુંદી, પાંત્રીસ સો કિલો ગાંઠિયા નો મહાપ્રસાદ તેમજ ૧૨૦ મણ શાક, ૭૦ મણ વાલ, ૧૫૦ મણ ચોખાનો ભાત, તથા ૧૨૦૦ કિલો તુવેરની દાળની મહાપ્રસાદી શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી હતી.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )