ધોળીધજા ડેમમાં રોજ બપોરે 3 કલાકમાં 33000 હજાર લીટર પાણી વરાળ બની ઉડી જાય છે

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં અઠવાડિયાથી તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહે છે. સોમવારે પણ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ¾એ સંશોધન કરતાં ચોંકાવનારી માહિતી મળી છે. ધોળીધજા ડેમમાં રોજ બપોરના ત્રણ કલાક દરમિયાન સરેરાશ 33000 લિટર પાણી વરાળ બની ઊડી જાય છે. પાણીનો આ જથ્થો પરિવારની જરૂરિયાત સાથે સરખાવીએ તો 103 પરિવારની દૈનિક જરૂરિયાત જેટલો છે. સામાન્ય રીતે એક વ્યક્તિને રોજ 80 લિટર પાણીની જરૂર પડે છે. એ રીતે 4 વ્યક્તિના પરિવારને 320 લિટર પાણીની જરૂર પડતી હોય છે.
4954 ચો.કિ.મી વિસ્તાર ઘૂડખર અભયારણ્ય તરીકે રક્ષિત: હાલમાં અફાટ રણમાં ગરમીનો પારો 46 ડીગ્રી વટાવી ચુક્યો છે. ત્યારે સને 1973માં 4954 ચો.કિ.મી. વિસ્તાર ‘ઘૂડખર અભયારણ્ય’ તરીકે રક્ષિત કરાયો હતો. હાલમાં રક્ષિત પ્રાણી ગણાતા એવા ઘૂડખરો 46 ડીગ્રી આગ ઓકતી ગરમીમાં અભયારણ્ય વિસ્તાર છોડીને બહાર નીકળી ગયા છે. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ‘ઘૂડખર’ માટે ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણી ધારા હેઠળ સને 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને “ઘૂડખર અભયારણ્ય’ તરીકે રક્ષિત કરાયો હતો. અને છેલ્લે 2014માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ઘૂડખરની સંખ્યા 4451 નોંધાઇ હતી.
લોકોને પાણીની મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ નથી: આ અંગે સિંચાઇ વિભાગના ચિરાગભાઇ કટોસણાએ પણ જણાવ્યુ કે, ઉનાળાના સમયમાં એક માસમાં 3 એમસીએફટી પાણીનું બાષ્પીભવન થઇ જાય છે. હાલ ડેમમાં પાણી છે. સુરેન્દ્રનગરના લોકોને પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તેવી સ્થિતી અત્યારે નથી.