49 સરકારી પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરશે સરકાર

કેન્દ્ર સરકાર લગભગ 49 સરકારી પ્રેસને બંધ કરવા તેમજ 356 તાલીમ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા માટે તૈયારી કરી રહી છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોનાં ક્ષેત્રિય સમૂહની એક બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કેન્દ્ર સરકાર હસ્તકનાં 90 પ્રિન્ટિંગ પ્રેસ જૂની મશીનરી તેમજ મર્યાદિત માનવશક્તિને કારણે સંકટમાં છે તેમજ તેમાંથી 49 પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરી દેવા જોઈએ.
મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળ દરમિયાન ખર્ચ ઘટાડવા, નિરર્થક કાયદાઓને દૂર કરવા અને સ્વાયત્ત સંસ્થાઓને મર્જ કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સચિવોના એક જૂથે અનેક પ્રેસ એકમો બંધ કરવાની ભલામણ કરી હતી અને તે દિશામાં કેટલાક પગલાં પણ ભરવામાં આવ્યા હતા. આમાંથી ઘણા એકમો શહેરોમાં પ્રાઈમ પ્રોપર્ટી છે અને તેને સરકારી સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કુલ 90 સરકારી પ્રેસમાંથી લગભગ 49 જેટલા સરકારી પ્રેસ બંધ થવા જોઈએ. આશા રાખવામાં આવી છે કે આમાંથી 31 સરકારી પ્રેસને કાર્યરત રખાશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી ટંકશાળ, રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રકાશન એકમ, બજેટ પ્રકાશિત કરવા માટે નોર્થ બ્લોકમાં આવેલ એકમ અને વિવિધ અન્ય દસ્તાવેજો, સામાજિક કલ્યાણ અને ન્યાય માટેનાં વિશેષ સરકારી પ્રેસને કાર્યરત રાખવામાં આવશે.