અમિતાભ બાદ વરુણ ધવન ખેડૂતોની વ્હારે આવ્યો, ભંડોળ ભેગું કરશે

મુંબઈ,
અક્ષય કુમાર અને અમિતાભ બાદ વધુ એક હીરો ખેડૂતોની અને પીડિતોની વહારે આવ્યો છે. વરુણ ધવન મહારાષ્ટ્રના ખેડૂતોને વિવિધ પ્રકારે મદદ કરવા માટે ભંડોળ ભેગુ કરશે અને મદદ કરશે. વરુણે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનું આૅનલાઇન પ્લૅટફાર્મ ફૅનકાઇન્ડ પસંદ કરીને આ કામ કરવાનું નક્કી કર્યું છે. આ પ્લૅટફાર્મ પર એક પેઇન્ટબાલ નામની ગેમ રમવાની હશે. એના માટે લોકોએ ૩૦૦ રૂપિયા ચૂકવવાનાં રહેશે. ટિકિટમાંથી જે પણ પૈસા એકઠા થશે એ માનવલોક ફાઉન્ડેશનને આપવામાં આવશે. આ રીતે કામ કરીને વરુણના ફૅન્સ તેની સાથે ગેમ રમશે અને પૈસા ભેગા કરશે. આ વિશે વિસ્તારમાં વાત કરતા વરુણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલી પાણીની અછતના કારણે ખેડૂતો પર વધુ પ્રમાણમાં અસર પડી છે. લાંબા સમયથી દુકાળની પરિસ્થિતિને કારણે કૃષિમાંથી મળનાર આજીવિકાને મોટું નુકસાન થયું છે. આ જ કારણ છે કે ફૅનકાઇન્ડના માધ્યમથી જે પણ પૈસા જમા થશે એને અમે માનવલોક ફાઉન્ડેશનને આપીશું. આ એક નાન-પ્રાફિટ સંસ્થા છે જે ખેડૂતો માટે કામ કરે છે અને તેમને સિંચાઈ, ખાતર, બિયારણ, છોડ અને નવી ટ્રેનિંગ આપે છે જે ખેડૂતોને મદદરૂપ થાય છે.’