સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૫ મીટરે નોંધાઇ

રાજપીપલા,
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૧૯ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૫ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે સાંજે ૫:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૯ મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૨,૯૪,૬૮૮ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૬૨,૬૧૯ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૧૯ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૦૮૨ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૯૯૮ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયુ છે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા