સુરક્ષાસેતુ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ‘રૂમઝૂમ નોરતા ૨૦૧૯’ નું ભવ્ય આયોજન

પોલીસ અને લોકો વચ્ચે પરસ્પર સંકલન વધે તેમજ બહોળા જનસમુદાય સુધી સરકારી યોજનાઓનો પ્રચાર થાય તે આ આયોજનનો હેતુ – જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર
સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી રૂમઝૂમ નોરતા ૨૦૧૯ નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીજયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે લોકો અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ સુમેળભર્યા બને તેમજ પરસ્પર સંકલન વધે તેવા હેતુથી આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી યોજાશે જેનું નામ રૂમઝૂમ નોરતા ૨૦૧૯ રહેશે.
વધુમાં પોલીસ અધિક્ષકશ્રી એ જણાવ્યું હતું કે આ ઉત્સવમાં બહોળો લોક સમુદાય એકઠો થાય છે જેથી આ ઉત્સવ ના માધ્યમ થકી સરકારશ્રીની વિવિધ લોકજાગૃતિ અંગેની યોજનાઓ નો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન, ટ્રાફિક અવેરનેસ, પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો બેટી પઢાવો, જળ એજ જીવન, કુપોષણ મુક્ત ભારત, વગેરે જેવી વિવિધ થીમ તથા યોજનાઓની આ ઉત્સવના માધ્યમથી લોકોમાં જાગૃતિ વધે તેવો પ્રયાસ હાથ ધરાશે. ઉત્સાહ ઉમંગ સાથે આ રૂમઝૂમ નોરતા માં જોડાવા જાહેર જનતાને અધિક્ષકશ્રી એ આમંત્રણ પાઠવ્યું છે.