રાજકોટ બસસ્ટેશન પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા ફાયરીંગ : રાહદારીનું મોત

રાહદારી ક્રિકેટ મેચની ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યા હતા અને મોતને ભેટ્યા
રાજકોટ શહેરના બસસ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી. ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા રાહદારી હિમાંશુ દિનેશભાઇ ગોહેલને ગોળી વાગી હતી. જેને પગલે દિનેશ ગોહેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી રિવોલ્વર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
આગામી 17 જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાવાની છે. ત્યારે હિમાંશુભાઇ મેચની ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યા હતા. ત્યારે પીએસઆઇ ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા અને અકસ્માતે ફાયરીંગ થતા ગોળી હિમાંશુભાઇને વાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઇ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હિમાંશુભાઇ રાજકોટમાં અંકુર મેઇન રોડ પર આવેલી જય આશાપુરા, વૃંદાવન સોસાયટી 2 રહેતા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)