બહાદુર તંત્રને લારી-ગલ્લાના દબાણો દેખાય છે તો ગેરકાયદેસર બનેલી બિલ્ડીંગો કેમ નહિ ?

- ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે પરંતુ કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ
મોરબી શહેર જેટ ગતિએ વિકાસ પામતું શહેર છે અને વિકાસની સાથે અનેક સમસ્યાઓ સર્જાય છે જેમાં રોડ રસ્તા પરના દબાણોને પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય જેથી કલેકટરનાં આદેશને પગલે આજે તંત્રએ કાચા દબાણો દુર કરીને બહાદુરી દાખવી હતી જોકે શહેરમાં અનેક ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકાઈ છે પરંતુ તે દબાણો તંત્રને ધ્યાને આવતા ના હોય તેવો ઘાટ જોવા મળે છે
મોરબી જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિ બેઠકમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રોડ ઉપરના દબાણો દૂર કરવા કલેકટરે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી જેના પગલે આજે પોલીસને સાથે રાખીને મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને શહેરના રવાપર રોડ, ઉમિયા સર્કલ, કેનાલ સહિતના વિસ્તારોમાં રસ્તા પર નડતરરૂપ ૩ કેબિન, ૨૦ ઝુંપડા, 3 લારી, ૨૦ જેટલા છાપરા સહિતના દબાણો હટાવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરાયો હતો.
જોકે મોરબીમાં તંત્ર આરંભે શુરા કહેવતને બરાબર અનુસરે છે અને આવી કામગીરી એકાદ-બે દિવસ કરી ફરી જેસે થે સ્થિતિ જોવા મળતી હોય છે જેથી દબાણો ફરી ખડકાય જતા હોય છે તો વળી ગરીબોની લારી-ગલ્લા હટાવતા બહાદુર તંત્રને ગેરકાયદેસર ખડકી દેવાયેલી હાઈરાઈઝ બિલ્ડીંગોના દબાણો કેમ નજરે પડતા નથી તેવા સવાલો પણ નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે ગેરકાયદેસર દબાણો મામલે સ્થાનિક લોકો તંત્રને અરજીઓ કરીને કાર્યવાહી માટે માંગ કરતા જોવા મળે છે આમ છતાં બહાદુર તંત્ર રાજકીય વગ ધરાવતા લોકો સામે લાચારી અનુભવતા હોય તેમ દબાણો મામલે આંખ આડા કાન કરતા હોય છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી