“કલા પ્રતિષ્ઠાન” દ્વારા પ્રકાશિત અમૂલ્ય-ધરોહર રાજ્યના સનદી અધિકારીની અધ્યક્ષતામાં વિમોચીત

“કલા પ્રતિષ્ઠાન” દ્વારા પ્રકાશિત અમૂલ્ય-ધરોહર રાજ્યના સનદી અધિકારીની અધ્યક્ષતામાં વિમોચીત
Spread the love

ભુજ કલાગુરુ જશુભાઈ નાયક અને ચિત્રકાર છગનભાઈ પટેલની પ્રેરણાથી કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા “કલા પ્રતિષ્ઠાન” દ્વારા પ્રકાશિત ગુજરાતની અમૂલ્ય- ધરોહર …નરેશ અંતાણી લિખિત કલા ગ્રંથ ભાગ -૨૭ નો ભવ્ય લોકાર્પણ સમારોહ કચ્છની ખમીરવંતી ભવ્યભૂમિ ભૂજ ખાતે રાજ્યના નિવૃત્ત સનદી અધિકારી અને પૂર્વ માહિતી નિયામકશ્રી વસંત ગઢવી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. સમારોહ નું ઉદઘાટન કરતા સરહદી રેન્જના મહાનિર્દેશકશ્રી સુભાષભાઈ ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે “કોઈપણ ધરોહર પ્રજાજીવનની માનસિકતા દર્શાવતી હોય છે જો ઇતિહાસને સમજવો હોય તો સૌપ્રથમ ધરોહરને ઓળખવી પડશે… કલા પ્રતિષ્ઠાન દ્વારા રાષ્ટ્રના કલાવારસાને જાળવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે બિરદાવવા લાયક છે.

સમગ્ર ગુજરાતના કલાજગત સુધી આ મૂલ્યવાન દસ્તાવેજ પહોંચાડીને સાચા અર્થમાં રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે” તેમ જણાવીને સંસ્થાના સંવાહક કોને અભિનંદન પાઠવ્યા હતા.. કચ્છ મિત્ર ના તંત્રીશ્રી દીપકભાઈ માંકડ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી કાંતિસેન શ્રોફે કલાગ્રંથ નું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે “સ્થાપત્યોને સાચવવા, જાળવવા ,જતન કરવું તે આપણા સૌની ગુજરાતી તરીકે ફરજ બને છે કલા પ્રતિષ્ઠાને મૂલ્યવાન ધરોહરનું દસ્તાવેજીકરણ કરીને સમગ્ર જનસમાજ ને અનોખી ભેટ ધરી છે” તેમ જણાવીને નરેશ અંતાણીને શુભેચ્છા આપી ને કલા સંસ્થા ને અભિનંદન પાઠવ્યા હતા.

શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ના ઈન્ચાર્જ કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયા અને સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક હરીશ ધોળકિયા સાહેબે જણાવ્યું હતું કે “ઘરઆંગણે આવીને કલાસાધકોનું સન્માન કરવું તે આજના સમયમાં ખૂબ કપરું કામ છે .આ સંસ્થાના પાયાના નૈતિક મૂલ્યો ખૂબ ઊંચા છે .જે છેલ્લા 13 વર્ષથી અવિરત આ કાર્ય કરીને પુરવાર કરી રહ્યા છે …સમારંભના ના અધ્યક્ષ સ્થાનેથી મનનીય ઉદ્બોધન કરતા વસંત ગઢવી સાહેબે જણાવ્યું હતું કે “કલાકાર પોતાની કલાની કદર ની આશા રાખતો હોય છે, જે કલાપ્રતિષ્ઠાન દ્વારા થઈ રહ્યું છે… લોકોત્સવ લોકોની સાશ્વત સંપતિ છે તેમ કહીને આ સંસ્થાના કાર્યને ભગવત્ ગૌમંડળ અને વિશ્વકોશ જેવી સંસ્થા સાથે સરખામણી કરી હતી” અને અભિનંદન ની સાચા અર્થમાં અધિકારી ગણાવી હતી.

કચ્છમિત્રના સહતંત્રી અને ઇતિહાસવિદ્ નરેશ અંતાણી નું અભિવાદનપત્ર ,સાલ- સરપાવ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે સમાજ શ્રેષ્ઠી અને અગ્રણી ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફની ચિત્રકાર સી.ટી. પ્રજાપતિ દ્વારા તૈયાર કરેલ વ્યક્તિચિત્ર અને શાલ અર્પણ કરીને મહાનુભાવોના હસ્તે અભિવાદન કર્યું હતું… અંતાણી સાહેબે કલા પ્રતિષ્ઠાનના આ કાર્યને બિરદાવી ને ઋણભાવ વ્યક્ત કર્યો હતો.. c.v.m કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વિદ્યાનગરના ડાયરેક્ટર અને ચિત્રકાર કનુ પટેલે ગુજરાતની અમૂલ્ય ધરોહર ને કોલેજની ટેક્સબુક માં સમાવિષ્ટ કરવાની ઘોષણા સાથે મૂર્ત થી અમૂર્ત અને નિરાકાર થી સાકાર તરફ જવાની પ્રક્રિયામાં કલાવારસોને મહત્વનો હિસ્સો હોવાનું કહીને કલા જીવનથી અળગી ન રહેવી જોઈએ તેમ જણાવીને સૌ ઉપસ્થિત સૌ કોઈને કલાના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

સમારંભની શુભ શરુઆત પ્રાર્થનાથી કરી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ કર્યું હતું અને સંકલન સી.ટી પ્રજાપતિ ,અજીત ભંડેરી ,નટુ ટંડેલ ,ચંદ્રકાંત પ્રજાપતિ, સુધા ઘેવરીયા પંકજ ઝાલા, નવીન સોની, બીપીન સોની, રજનીકાંત જોબનપુત્રા, સંજય ઠક્કર સાથે સંકલન સમિતિના સદસ્યોએ સંપૂર્ણ કાર્યક્રમનું વ્યવસ્થાપન સંભાળીને સમારંભને સફળતા બક્ષી હતી ..રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!