દ્વિતીય સ્ટિમ્યુલસ પૅકેજની શક્યતા વિશે વડાપ્રધાને સમીક્ષા કરી

નવી દિલ્હી: કોવિડ-૧૯ની અર્થતંત્ર પર થયેલી આડઅસરની સમીક્ષા કરવા સાથે બીજા સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાતની શક્યતા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે બેસીને ચર્ચા કરી હતી. આ મહામારીને લીધે લઘુ ઉદ્યોગોથી માંડીને ઍરલાઇન્સના વ્યવસાય સુધીના વિવિધ ક્ષેત્રોને આર્થિક નુકસાન પહોંચાડવાથી માંડીને લાખો લોકોની આજીવિકા જવાની શક્યતા ઊભી થઇ છે. ત્યારે મોદીએ આ વિશે હવે ક્યાં પગલાં લેવા એ વિશે સીતારામન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કોરોના વાઇરસનો ઝડપી ફેલાવો અને ત્યાર બાદના લૉકડાઉનને લીધે ભારતીય અર્થતંત્રના વર્ષ ૨૦૨૦ માટેના જીડીપીના વિવિધ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલા અંદાજની પાર્શ્ર્વભૂમિ પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અર્થતંત્રની સ્થિતિ વિશે સઘન ચર્ચા કરવામાં આવી હતી. વિશ્ર્વ બૅંકના જણાવ્યા અનુસાર ભારતનો વિકાસદર ૧.૫ ટકાથી ૨.૮ ટકા જેટલો વધશે. ૧૯૩૦ની વૈશ્ર્વિક મંદી બાદ વિશ્ર્વમાં આ મહારોગને લીધે આવેલી આર્થિક મંદીને ધ્યાનમાં લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે (આઇએમએફ) મંગળવારે ૨૦૨૦ માટે ભારતનો જીડીપી ૧.૯ ટકાના દરે વધવાની શક્યતા જાહેર કરી હતી.