આજથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ

પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. જે રીતે અમદાવાદમાં હોટસ્પોટ સમાન કોટ વિસ્તારમાં કેસો કુદકેને ભૂસકે વધી રહયાં છે તે જોતાં મુસ્લિમ બિરાદરોને મસ્જિદોને બદલે ઘરમાં રહીને ઇબાદત કરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે મુસ્લિમ ધાર્મિક-સામાજીક આગેવાનો સાથે બેઠક યોજીને રમઝાનમાં લોકોના ટોળાં એકત્ર ન થાય,મસ્જિદોમાં ઇબાદત ન કરે,ઘરમાં જ રહે તે સમગ્ર મુદ્દાઓને લઇને ચર્ચા કરી હતી. આ વખતે સામૂહિક ઇફતારીના કાર્યક્રમ રદ કરાયાં છે.રમઝાન માસ દરમિયાન પોલીસે કોટ પર વિસ્તાર પર ખાસ નજર રાખવા નક્કી કર્યુ છે. પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ રહ્યો હતો.મોડી સાંજે ચાંદ દેખાતાં જ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને રમઝાન મુબારક પાઠવ્યા હતાં. સામાન્ય રીતે રમઝાન માસ હોય ત્યારે લઘુમતી વિસ્તારોમાં મસ્જિદોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે. ખજૂર,ફ્રુટ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા બજારમાં ભીડ ઉમટે છે.આખાય પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો માત્ર ખુદાની ઇબાદતમાં મશગૂલ બની જાય છે.રમઝાન માસમાં અનેક અનોખી રોનક જોવા મળે છે. પણ આ વખતે પરિસ્થિતી કઇંક અલગ છે.
કોરોનાની મહામારીને કારણે લોકોના એકઠાં થવા પર જ પ્રતિબંધ છે. આ જોતાં જ અમદાવાદ શહેરમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરોને ઘરમાં જ રહીને ઇબાદત કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. લોકડાઉનને કારણે છેલ્લાં એકાદ મહિનાથી તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં મસ્જિદો તો બંધ અવસ્થામાં છે. આમ છતાંય મૌલાના અને સામાજીક આગેવાનોએ સોશિયલ મિડીયા થકી લોકોને મસ્જિદોમાં નહીં, ઘરમાં જ રહીને ઇબાદત કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાની મહામારીથી ભારત મુક્ત થાય તે માટે ખાસ દુઆ કરવા પણ અપીલ કરાઇ છે.આ ઉપરાંત સામૂહિક ઇફતારીના કાર્યક્રમ પણ આ વખતે મોકુફ રાખવા નક્કી કરાયુ છે. ઉલ્લેખનીય છેકે, સામાન્ય રીતે મસ્જિદમાં ય સામૂહિક ઇફતારી કરવામાં આવતી હતી. અમદાવાદ પોલીસે ખાસ કરીને હોટસ્પોટ ગણાતાં કોટ વિસ્તારમાં સતત પેટ્રોલીગ કરવા નક્કી કર્યુ છે.કામ સિવાય લોકો ઘરની બહાર ન નીકળ તે માટે પોલીસ ખાસ ધ્યાન રાખશે.કોરોનાનુ સંક્રમણ વધી રહયુ છે ત્યારે લોકોના ટોળા એકઠાં ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.