જામનગરમાં રીબેટ માટે ધસારો: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

- કોર્પોરેશનના કેશ કલેકશન સેન્ટરમાં કરદાતાઓની ભીડ ઉમટી
મહાનગરપાલિકાના કેશ કલેકશન સેન્ટરમાં વેરો કરવામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા છે. એડવાન્સ પાણી અને મિલકત વેરામાં વળતરના કારણે કરદાતાઓની ભીડ ઉમટી રહી છે પરંતુ વ્યવસ્થા જાળવવામાં તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે. જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમનો અમલવારી ફરજીયાત કરવામાં આવી છે. નિયમોના ભંગ સબબ મનપા દ્વારા દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, મનપાના કેશ કલેકશન વિભાગમાં જ સોશિયલ ડિસ્ટન્સના નિયમ સરેઆમ ભંગ થઈ રહ્યો છે.
મનપા દ્વારા એડવાન્સ પાણી અને મિલકત વેરા પર વળતર યોજના શરૂ કરવામાં આવી હોય કરદાતાઓ મનપામાં વેરો કરવા ઉમટી રહ્યા છે. પરંતુ કેશ કલેકશન સેન્ટરમાં કરદાતાઓની કતારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય જોખમ ઝળુંબી રહ્યું છે. નવાઈની વાત એ છે કે, સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે ચોરસ ચોકઠા કરવામાં આવ્યા છે તો સુરક્ષાકર્મી હાજર હોવા છતાં કરદાતાઓ વચ્ચે સામાજિક અંતર ન જળવાતા મનપાના આંગણે નિયમનો ભંગ થઈ રહ્યો છે.
– નિશાંત માવાણી (જામનગર)