વડોદરા : મહારાણી કન્યા વિદ્યાલયે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા…!!

કોરોના વાઈરસનો વ્યાપ ચિંતાજનક વધી રહ્યો હોવા છતાં વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયના સંચાલકો દ્વારા પુસ્તકો આપવાના નામે વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં બોલાવતા વિવાદ સર્જાયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓને પુસ્તકો લેવા બોલાવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો
વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના સંચાલકો દ્વારા કોવિડ-19ની સરકારની ગાઇડલાઇનને નેવે મુકીને વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને પુસ્તકો લેવા માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થિનીઓ સ્કૂલ ડ્રેસમાં આવી પહોંચી હતી. સ્કૂલ દ્વારા કોરોના મહામારીના વધી રહેલા વ્યાપ વચ્ચે વિદ્યાર્થિનીઓને પુસ્તકો લેવા બોલાવતા વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્કૂલના ટીચર કહે છે કે, વિદ્યાર્થિનીઓને પુસ્તક લેવા માટે 10-10ના ગૃપમાં બોલાવવામાં આવી હતી
સ્કૂલના ટીચર તૃપ્તીબહેન શાહે સ્કૂલનો બચાવ કરતા જણાવ્યું હતું કે, ધો-11 અને ધો-12ની બાકી પડેલી અંગ્રેજીના પુસ્તક વિતરણ માટે વિદ્યાર્થિનીઓને તબક્કાવાર બોલાવવામાં આવી હતી. તેઓના શિક્ષણ ઉપર અસર ન પડે તે માટે જ વિદ્યાર્થિનીઓને 10-10ના ગૃપમાં બોલાવવામાં આવી હતી. સ્કૂલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ-19ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરીને આવવા બાબતે તેઓએ ઉમેર્યું કે, વિદ્યાર્થીનીઓને સ્કૂલનો ડ્રેસ પહેરીને આવવાની કોઇ ફરજ પાડવામાં આવી નથી. તેઓ તેઓની જાતે જ સ્કૂલ ડ્રેસ પહેરીને આવી હતી.
એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કહે છે કે, સ્કૂલ સંચાલકો દ્વારા પુસ્તક લેવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવી શકાય નહીં
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શિવાંગી શાસ્ત્રીએ આ બાબતે જણાવ્યું કે, સ્કૂલ સંચાલકો દ્વારા પુસ્તક લેવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવી શકાય નહીં. સ્કૂલ સંચાલકોનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. અને સ્કૂલ સામે કોવિડ-19ના નિયમોનુસાર જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)