સંભવિત વાવાઝોડાની મોરબી જિલ્લામાં આંશિક અસર શરૂ, તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર

- એનડીઆરએફની ટીમ, મામલતદાર, સરપંચો, તલાટી સહિતની ટીમો સ્ટેન્ડ બાય
- મોરબી જિલ્લામાં મોડી રાત્રીના વાવાઝોડાની વધુ અસર થવાની સાંભવના
- સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
- આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી
- લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ
મોરબી : તૌકતે વાવાઝોડું આજે મોડી રાત્રે મોરબી જિલ્લામાં ત્રાટકે એવી દહેશત વચ્ચે આ વાવઝોડાથી કોઈપણ જાતની ખાનાખરાબી ન થાય તે માટે સમગ્ર જિલ્લા પ્રશાસન હાઈએલર્ટ મોડ ઉપર છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તકેદારીના સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના 3 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. અને હજુ આ કામગીરી ચાલુ છે. ત્યારે સંભવિત વાવઝોડાથી જાનમાલને નુકશાન ન થાય તે માટે તંત્રએ આજે અને કાલે એમ બે દિવસ સુધી લોકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
વાવાઝોડુ મોરબી જિલ્લાના નવલખી બંદરના દરિયા કિનારના ત્રિજ્યામાં આવતા મોરબીના 7 અને માળીયાના 4 ગામોને અસર થવાની દહેશત છે. આ 11 ગામોમાં વાવઝોડાના ખતરાને પગલે અગાઉથી આ અસરગ્રસ્ત સ્થળોએ રાહત અને બચાવની આગોતરી તૈયારી માટે બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે વાવાઝોડું રાજકોટ તરફથી મોરબી જિલ્લામાં આજે મોડી રાત્રીના પ્રવશે તેવી શકયતા છે. હાલ આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં આશિક અસર દેખાઈ રહી છે. સોમવાર સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘનઘોર બની ગયું છે અને તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે.
વાદળછાયા વાતાવરણ અને તેજ પવન ફૂંકાવાની પગલે તંત્ર વધુ સાબદુ બન્યું છે. આથી, મોરબીના અસરગ્રસ્ત તેમજ ઝૂંપટપટ્ટી વિસ્તારોને ખાલી કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. અધિક કલેક્ટર કેતન જોશીના જણાવ્યા મુજબ મોરબી અને માળીયા તાલુકાના 11 જેટલા ગામોમાં અત્યાર સુધીમાં 2 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોરબી અને હળવદ અને વાંકાનેરના અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે ઝૂંપટપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. હળવદમાંથી 700 લોકો, વાંકાનેરમાંથી 200 લોકો અને મોરબીમાંથી 400 લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયાં છે. મોરબી જિલ્લાના દરિયાકાંઠાના 11 ગામોને એલર્ટ કરીને વધુ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
દરિયામાં કરંટ વધતા નવલખી બંદરે 8 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવામાં આવ્યું છે. નવલખી પોર્ટ તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખીને એ મુજબ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોવાનું નવલખી બંદરના કેપટન કુલદીપસિંગએ મોરબી અપડેટને જણાવ્યું છે. તંત્ર વાવાઝોડા દરમિયાન ઓછામાં ઓછું નુકશાન થાય તેવા સઘન પગલાં લઈ રહ્યું છે અને સીરામીક એસોસીએશનએ ઉદ્યોગકારોને બિનજરૂરી પ્રોડક્શન બંધ રાખવાની સૂચના આપી દીધી છે. આ ઉપરાંત, દરિયાકાંઠા વિસ્તારોમાં મામલતદાર, તલાટી મંત્રી અને સરપંચોની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી