મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ત્રણ સગીરા ગુમ થતા પોલીસને જાણ કરાઈ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરા આજે વહેલી સવારે કોઈને કહ્યા વિના નીકળી ગઈ હોય જેથી ગુમ થયેલી સગીરાઓને શોધવા સંસ્થાના સંચાલક દ્વારા શોધખોળ આદરી હતી અને છતાં કોઈ પત્તો નહિ લાગતા હાલ મોરબી બી ડીવીઝન પોલીસ મથકને જાણ કરવામાં આવી છે
મોરબી જીલ્લામાં વિવિધ અપહરણના કેસમાં મોરબી તાલુકાની ૦૨ અને ટંકારાની ૦૧ એમ ત્રણ અપહૃત સગીરાને પોલીસે શોધી કાઢ્યા બાદ શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ખાતે રાખવામાં આવી હતી જે ત્રણ સગીરા આજે સવારના સમયે ગુમ થતા સંચાલકો દ્વારા પોલીસ મથકમાં જાણ કરાઈ છે બનાવ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અપહરણ કેસમાં ભોગ બનનાર ૦૩ સગીરાને વિકાસ વિધાલય રાખવામાં આવી હતી. અને હવે તેને ઘરે જવું હોય તેવું વારંવાર કહેતી હતી અને દરમીયાન આજે સવારના નાસ્તાના સમયે ત્રણ સગીરા નહિ દેખાતા સંસ્થા અગ્રણીઓએ શોધખોળ હાથ ધરી હતી જોકે ત્રણ સગીરાની ક્યાય ભાળ નહિ મળતા પોલીસ મથકને જાણ કરવામાં આવી છે અને પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી