ગૌમાતા પોષણ યોજના અંગેની સબસિડી તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરતાં મિતલ ખેતાણી

ગૌ શાળા-પાંજરાપોળને ઘોષિત થયેલી ગૌમાતા પોષણ યોજના અંગેની સબસિડી ચૂકવવા તેમજ આ અંગેના નિયમો હળવા કરવા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણી દ્વારા ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરીને વિનંતી કરવામાં આવી હતી. રસ્તે રઝડતાં પશુધનને તેમજ ગૌ શાળા – પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા પશુઓને બચાવવા રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળામાં મુખ્યમંત્રીશ્રી તરીકે અતી સંવેદનશીલ નિર્ણલ લઈ “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” માટે બજેટમાં ૫૦૦ કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા હતા.
ત્યારબાદ કેબીનેટમાં મંજુર કરી એક પશુદિઠ ૩૦ રૂપીયા ૧ એપ્રિલ-૨૦૨૨ થી આપવાનું નકકી કરી જાહેરાત કરવામાં આવેલ ત્યારબાદ આજ દિવસ સુધી અમલવારી કરવામાં આવી નથી. સમગ્ર ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓમાં નિભાવ થતા લાખો પશુ નિભાવતી પાંજરાપોળ-ગૌશાળાઓ માટે અતિ કપરો સમય આવ્યો છે. સરકારશ્રી દ્વારા ગૌમાતા માટે મુખ્યમંત્રીના નામ સાથેની યોજના ”મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના”ની જાહેરાત કરવમાં આવી છે છતાં હજુ સુધી તેની અમલવારી કરવામાં આવી નથી. જે અતિ દુઃખ દાયક છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને મિતલ ખેતાણી દ્વારા વિનંતી કરાઈ છે કે ઉપરોકત યોજના તાત્કાલીક શરૂ કરાય તેમજ તે અંગેના નિયમો વ્યાજબી અને હળવા કરવામાં આવે.
જેથી તમામ ગૌ શાળા – પાંજરાપોળો આ યોજનાનો લાભ લઈ શકે અને સરકારશ્રીનું ધ્યેય પણ સિધ્ધ થાય તેમજ આ યોજનાનો અમલ તા. 1 એપ્રિલ 2022થી કરવામાં આવે અને પાછલાં મહિનાઓનો લાભ પણ ગૌશાળા પાંજરાપોળોને આપવામાં આવે. પ્રવર્તમાન મોંઘવારી, વધતો જતો પશુઓનો પ્રવાહ, ઘટતા જતાં દાનનો પ્રવાહ સહિતના પરિબળોને લઈને ગૌશાળા-પાંજરાપોળનો નિભાવ ખૂબ અઘરો બન્યો છે. ગાંધીનગરના સચિવાલય ખાતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆતમાં મિતલ ખેતાણી સાથેના પ્રતિનિધિ મંડળમાં એનિમલ હેલ્પલાઇનના ધીરુભાઈ કાનાબાર, જૈન શ્રેષ્ઠી હેમેન્દ્રભાઈ દફતરી , યુવા અગ્રણી મહાવીર શાહ સહિતનાઓ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રી એ રજૂઆતો સાંભળીને સંબંધિત કાર્યવાહીઓ કરવા તુરંત જ ટેલિફોનિક સૂચના અધિકારીઓને આપી હતી.