મજૂર રાખતા પહેલા તેની માહિતી ફોટોગ્રાફ્સ સાથે પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા ત્તત્વો બહારના જિલ્લા/ રાજયમાંથી આવી એનું મકાનોના બાંધકામ, ખેતરોમાં કે ફેકટરીઓમાં મજૂર તરીકે આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે. માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપત્તિને નુકસાન પહોચાડે છે. મહદઅંશે આવા મજૂરો પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે. આવા ઈસમોની કોઈ માહિતી કે વિગતો મકાન માલિકો પાસે હોતી નથી.
જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઈસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા મજૂર તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી. વળી, આવા મજૂરોને કામે રાખનાર માલિકો આવા ઈસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી. શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇપણ વ્યક્તિને મજૂર તરીકે કામ ઉપર રાખવામાં આવે ત્યારે આવા વ્યક્તિ અંગેની જરૂરી માહિતી ફોટોગ્રાફ્સ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
જેમાં મજૂરનું પુરુ નામ અને સરનામું, મજૂરનું બનાસકાંઠા જિલ્લાનું સરનામું, તેની સાથેના માણસની વિગત, જેના ત્યાં મજૂર તરીકે કામ કરતા હોય તેનું નામ સરનામું, બાહેંધરી અગર જેના મારફત મજૂર તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું, અગાઉ મજૂર તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું, બનાસકાંઠા જિલ્લામાં ઓળખીતાના નામ અને સરનામા તથા મોબાઇલ નંબર, વતનનું સરનામુ પો.સ્ટે. સહિત તથા વતનમાં રહેતા ભાઇ બહેન માતા પિતાના નામ, પરણિત હોય સાસરીનું નામ સરનામું, મજૂરનું ચહેરા નિશાન, ઉંમર, ઉંચાઇ, વર્ણન, અભ્યાસ વિ.(ઓળખી શકાય તેવી નિશાની) દર્શાવવાની રહેશે.
આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.