સાબરકાંઠા જીલ્લામાં તમાકુ અધિનિયમ ભંગ કરતા 61 વેપારીઓ દંડાયા

તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ કાયદાની અમલવારી, દંડ અને વસુલાત અંગે સામાજીક જનજાગૃતિ માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરીયા તેમજ કન્સલ્ટન્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને એપેડેમિક મેડીકલ ઓફીસરશ્રી ડૉ.પ્રવિણ ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની દુકાનોમાં તપાસની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લાના હીંમતનગર શહેરી/ગ્રામ્ય વિસ્તાર,ઈડર શહેરી વિસ્તાર તેમજ ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં જાહેર માર્ગો પર તમાકુનું વેચાણ કરતા તેમજ તમાકુ અધિનિયમ ૨૦૦૩ની વિવિધ કલમ જેવી કે કલમ-૪ જાહેર જગ્યાએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, કલમ-૬(અ) ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ કરવા કે ખરીદવા પર પ્રતિબંધ તથા ૬(બ) – અંતર્ગત શૈક્ષણીક સંસ્થાની ૧૦૦ વાર વિસ્તારમાં ત્તમાકુના વેચાણ કરવા પર પ્રતિબંધ જેવી કલમોના ઉલ્લઘન કરતા વેપારીઓ સામે કાર્યવાહીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તમાકુ વેચાણ કરતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કાયદાનો ભંગ કરનાર કુલ – ૬૧ વેપારીઓ પાસેથી રૂ.૧૧૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી જિલ્લા સાઈકોલોજીસ્ટ નેહા સિસોદીયા, શોશ્યલ વર્કર અરવિંદસિંહ ચંપાવત તેમજ જિલ્લા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન તમાકુ વેપારીઓને તમાકુ અધિનિયમની વિવિધ કલમના પ્રમાણિકપણે કાયદાના નિયમોનું પાલન કરવા અંગે શપથ પણ લેવડાવામાં આવ્યા હતા.