મોડાસાના સરડોઈમાં વનરસેનાનો આતંક

પ્રભુદાસ પટેલ મોટી ઇસરોલ,
અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં છેલ્લા પંદર દિવસથી વાનર સેનાએ આતંક મચાવી એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓને બચકાં ભરી આખા ગામને બાનમાં લઈ ભયનો માહોલ પેદા કર્યોં છે. મોડાસા તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલા સરડોઇ ગામમાં છેલ્લા પંદર દિવસથી વાનરોએ માનવવસવાટમાં ધામા નાખી એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓને બચકાં ભરી આતંક મચાવી દીધો છે. ગામમાં જુદાજુદા સ્થળે આ વાનરસેનાએ પંદર દિવસમાં શાળાએ ભણતી બે બાળાઓ, એક યુવાન, એકવૃદ્ધ, અને એક વૃધ્ધા ઉપર હુમલો કરી બચકાં ભરતાં એકને સરકારી દવાખાને સારવાર લેવી પડેલ છે.સિત્તેર વર્ષ વિતાવી ચૂકેલ વિનુબા માધુસિંહ ચિત્રોડાને પોતાના ઘરમાં પેસી જઇ વાનરસેનાના બુઢિયાએ હુમલો કરી થાપાના ભાગે બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. માનવો ઉપરાંત પાલતુ પશુઓ પર વાનરો હુમલો કરતાં હોવાથી પશુપાલકો પણ ત્રસ્તતા અનુભવી રહેલ છે. વાનરસેનાના ભયંકર આતંકથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. નાના બાળકો શાળાએ જતાં ડર અનુભવતાં હોવાથી વાલીવર્ગમાં પણ ફફડાટ પેદા થવા પામેલ છે. આ વાનરસેનાના આતંકોને રોકવા તાત્કાલિક તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહેલ છે.