નર્મદા ડેમના દરવાજા ખોલાતા ૩ જિલ્લાઓને એલર્ટ, ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ

ભરૂચ,
નર્મદા ડેમની સપાટી ૧૩૧ મીટરે પહોંચી જતા ડેમના ૨૬ દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ચાંદોદ ગામને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યું છે. મહાલરાવ ઘાટ પાણીમાં ડૂબતા તંત્રએ લોકોને એલર્ટ કરી દીધા છે. તો બીજી તરફ, ડભોઈનાં કરનાડી ગામમાં ઘુસ્યુ નર્મદાનું પાણી ઘૂસ્યું છે. નર્મદા ડેમના દરવાજા ખોલાતા ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમના દરવાજા ખોલવાથી બે વર્ષથી સુકી પડેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાંથી પાણી છોડાયા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદામાં પાણી વધતા ગોરા ગામ ખાતે આવેલો ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
નર્મદા ડેમના દરવાજા ખોલવાના પગલે રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડભોઈ, કરજણ, અને શિનોર તાલુકાના ૨૪ ગામોને એલર્ટ કરાયા છે. જેને પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે. નર્મદામાંથી પાણી છોડવાના પગલે નદી પટના ગામો ચિતિંત બન્યા છે. તલાટી કમ મંત્રીઓ અને અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપી દેવાઈ છે.