વધઈ ખાતે ડાંગના પશુપાલકો માટે રોગ નિયંત્રણ અને કૃત્રિમ સંવર્ધન અંગે કાર્યશાળા યોજાઈ

આહવા
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વધઈ (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) ખાતે તા.૧૧/૦૯/૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંકેતભાઈ બંગાળ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વધઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ર્ડા.જી.જી.ચૌહાણની ઉપસ્થિતિમાં ડાંગના પશુપાલકો માટે પશુઓમાં રોગનું નિયંત્રણ અને કૃત્રિમ સંવર્ધન વિશે કાર્યશાળા-વ-તાલીમ યોજાઈ હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વધઈ ખાતે રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણ,રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ તેમજ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે મથુરાથી કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટિંગ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ પશુપાલક મિત્રો સાથે સીધો સંવાદ કરી કેવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો,પશુઓમાં રસીકરણ અને કૃત્રિમ બીજદાન થકી કેવી રીતે વધુ વાછરડીઓનું પ્રમાણ વધારી શકાય તેની જાણકારી આપી હતી. વધુમાં વડાપ્રધાનશ્રીએ દેશમાં દુધ ઉત્પાદનમાં ૭ ટકા વૃધ્ધિ અને આવકમાં ૧૩ ટકા વધારો થયો અને ૧૩ હજાર કરોડ રૂપિયા પશુપાલન માટે ફાળવ્યા હતા.
આ પ્રસંગે ર્ડા.મનીષભાઈ પટેલે ખરવા-મોવાસા રોગની લાક્ષણિકતાઓ અને તેના ઉપાયો,ર્ડા.સાગર પટેલે બૃસેલોસિસ લાક્ષણિકતાઓ અને તેના ઉપાયો,ર્ડા.સંજયભાઈ ગાવિતે પશુઓમાં રસીકરણની જરૂરિયાત અને સમજ તથા ર્ડા.ધર્મેશ ચૌધરીએ કૃત્રિમ બીજદાન અને ડાંગ જિલ્લામાં પશુપાલન સબંધિત યોજનાઓની જાણકારી આપી હતી.
આ કાર્યશાળામાં ર્ડા.જીગ્નેશ ડોબરિયા,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વધઈ ની ટીમ સહિત ૧૪૦ થી વધારે પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણ,રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન,સ્વચ્છતા એ જ સેવા તેમજ પશુઓમાં રસીકરણ કરવા કટીબધ્ધ થયા હતા.