ગાંધીનગરમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં શ્રીમતી શાલિની અગ્રવાલની શ્રેષ્ઠ ચૂંટણી વ્યવસ્થા શક્તિનું થયું બહુમાન

વડોદરા
ગાંધીનગર ખાતે યોજાયેલા દશમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું બહુમાન કરવામાં આવ્યું છે. રાજયપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજીએ તેમને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માન પત્રથી વિભૂષિત કર્યા હતા.
શ્રીમતી શાલિની અગ્રવાલે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, ચૂંટણી એ લોકશાહીના આધારસ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવાથી લઇ મતદાન કરાવવું, મત ગણતરી કરાવવી અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક, સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચૂસ્તપાલન ને આધિન પ્રક્રિયા છે. રાત દિવસ પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચૂંટણીપંચના દિશા-નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે. એટલે આ સિદ્ધિનું શ્રેય ટીમ વડોદરાના તમામ કાર્યનિષ્ઠ સહયોગીઓને આપુ છું. અમારા કામની કદર કરવા બદલ ચૂંટણીપંચનો આભાર માનું છું.
વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદ થયાની ગઇકાલે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.