ટ્રકે બાઇકને ઉલાળતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું

રાજકોટ,
શાપર વેરાવળમાં રાયનો પંપ કંપનીની ઓરડીમાં ધરતી ગેઇટની સામે રહેતો ઉત્તમ અશોકભાઇ ચુડાસમા (ઉ.વ.૨૧) મોડી સાંજે પોતાની પત્ની કાજલ (ઉ,વ.૧૮)ને પોતાના બાઇકમાં બેસાડી રાજકોટ માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં માસીને ત્યાં જમવા માટે આવ્યા હતાં. ત્યાંથી પરત પોતાના ઘરે શાપર જવા નીકળ્યા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જતાં નેશનલ હાઇવે પર આજીડેમ ચોકડી નજીક માનસરોવરના ઢાળીયા સામે પહોંચ્યા ત્યારે અજાણ્યા ટ્રકનો ચાલક પાછળથી બાઇકને ઉલાળીને ભાગી જતાં પતિ-પત્ની બંને ફંગોળાઇ ગયા હતા. જેમાં પતિ ઉત્તમને નજીવી મુંઢ ઇજા થઇ હતી. જ્યારે પત્ની કાજલને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પતિ ઉત્તમની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. કરૂણતા એ છે કે સાત દિવસ પહેલા ઉત્તમ અને કાજલના લગ્ન થયા હતાં.
નવલનગર- ૩માં રહેતાં માધવભાઇ શિવચરણ સાહની (ઉ.વ.૪૪) તથા તેના ભાઇ અશોક સહાની બાઇકમાં બેસીને કુવાડવા કલર કામ રાખવાનું હોય તેની સાઇટ જાવા ગયા હતાં. ત્યાંથી બંને પરત આવતાં હતાં ત્યારે સાત હનુમાન નજીક બાઇકને પાછળથી ટ્રકનો ચાલક ટક્કર મારી ભાગી ગયો હતો. બંને ભાઇને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ માધવભાઇનું મોત નીપજ્યું હતું. અશોકને પ્રાથમિક સારવાર અપાઇ હતી. મૃતક છ ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં શોક છવાઇ ગયો છે.