સુરત પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધરાતથી કર્ફ્યુ

મહિલાઓ જ જરૂરી સામાન લેવા નીકળી શકશે
સુરત. શહેરમાં વધતાં જતાં કોરોનાના કેસને લઈને કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.પાંચ હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આજ મધરાતથી 22મી સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. કર્ફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ના સમયમાં માત્ર મહિલાઓ માટે કર્ફયુ મુકિત આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ કોન્ફરન્સ કરી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, એ.સી.એસ. સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. જેમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.
કોરોના અટકાવવા કર્ફ્યુ
વીડિયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે, તા. ૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારની મધ્યમરાત્રીથી તા.રર એપ્રિલ-ર૦ર૦ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સુરત શહેરમાં ૪ પોલીસમથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસમથકોના વિસ્તારમાં કર્ફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કર્ફયુ રહેશે. કર્ફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કર્ફયુમુકિત આપવામાં આવશે.