હિંમતનગરમાં રહેતા.૨૦૩ પરપ્રાંતિઓને વતન જવા તબીબી પ્રમાણપત્ર આપ્યા

- હિંમતનગર નગરપાલિકા દ્રારા આ કામગીરી રવિવાર રજાના દિવસે પણ ચાલૂ રહેશે
- માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ -નગરપાલિકા ચીફ ઓફીસર
હિંમતનગર,
હિંમતનગર નગરપાલિકા દ્રારા વતન જવા માંગતા પરપ્રાંતિઓ માટે તા. ૨ મેથી તબીબી પ્રમાણ પત્ર માટે ટાઉન હોલ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પોતાના વતન જવા માંગતા ૨૦૩ પરપ્રાંતિઓને કોવિડ-૧૯ના કોઇ લક્ષણ ના હોવાનુ પ્રમાણપત્ર આરોગ્ય વિભાગ દ્રારા આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જવા માંગતા શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વગેરેને સરકાર દ્રારા મંજૂરી અપાઇ છે. આ અનુસંધાને સાબરકાંઠામાંથી પોતાના વતનમાં જવા માંગતા શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વગેરેને મેડીકલ ચેકઅપ કરી હાલમાં COVID-19 નાં લક્ષણો ધરાવતા નથી તેવું તબીબી અધિકારીનું પ્રમાણપત્ર લેવું ફરજીયાત છે.જેના અનુસંધાને હિંમતનગર પાલિકા દ્રારા આ પરપ્રાંતિઓને મુશ્કેલી ના પડે અને સોશિયલ ડિસ્ટન્સીગનો ભંગ ના થાય તે માટે નગરપાલિકા વિસ્તામાં આવેલા પરપ્રાંતિઓ માટે રવિવાર સહિત એક અઠવાડીયા સુધી તબીબી પ્રમાણપત્ર આપવામાં આવશે.
નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી અલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં લોકડાઉન વચ્ચે વતન જવા માંગતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોના ફસાયેલા શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વગેરેને સરકાર દ્રારા વતન જવાની મંજૂરી અપાઇ છે. આ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ છે જેમાં કોવિડ-૧૯ના લક્ષણ નથી તેવુ પ્રમાણપત્ર જોડવાનું છે. તેથી આરોગ્ય વિભાગના સંકલન થકી નગરપાલિકા દ્રારા નલિન કાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી આ કામગીરી હાથ ધરાઈ છે. તેમણે પ્રમાણપત્ર લેવા આવનાર તમામ પરપ્રાંતિઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરી હતી.