અરવલ્લીના પાંચ તાલુકામાં મેલેરીયા જાગૃતિ અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરાઇ

- ચોમાસા પૂર્વે જિલ્લાના હાઇરિસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરાયો
મોડાસા,
ચોમાસા પૂર્વે અરવલ્લીમાં ખાસ કરીને મેલેરીયાની અસર વધુ જોવા મળે છે તેવા વિસ્તારોમાં મલેરીયા જાગૃતિ અભિયાન શરૂ કરીને જિલ્લાના પાંચ તાલુકાના હાઇરીસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી કરાય છે. જેમાં ખાસ કરીને મેલેરીયાના અટકાયતી પગલા અને તકેદારી રાખવા જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાજયને ૨૦૨૨ સુધી મેલેરીયામુક્ત કરવાના ઉદેશ્ય સાથે અરવલ્લી જિલ્લામાં અગાઉના વર્ષોમાં જયાં મેલેરીયાના કેસ મળી આવતા હતા તેવા વિસ્તારોની ઓળખ કરી દવા છંટકાવ કરવામાં આવે છે.
આ અંગે વાત કરતા જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી આશિષ નાયકે જણાવ્યું હતુ કે, વર્તમાન ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય એના આગોતરા આયોજન મુજબ જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના ૧૦ આરોગ્ય કેન્દ્રમાં આવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ૨૨૫૨ ઘરોના ૧૧,૦૭૩ લોકોને આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ સમયગાળામાં ફિવર સર્વે કામગીરી શરૂ કરી, ભંગાર એકત્ર થતા સ્થળ, ટાયર પંચરની દુકાન સહિત મચ્છર ઉત્પતિના સ્થાન છે, તેવા વિસ્તારોની ઓળખ કરી ટેમીફોસ અને બીટીઆઇ દ્વારા આ ઉત્પતિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને અનુલક્ષી સોશ્યિલ ડિસ્ટન્ટ સાથે સઘન સર્વેલનસ અને લોકજાગૃતિ અંગે લારવા નિદર્શન તેમજ જયાં પાણીના કાયમી સ્ત્રોત છે તેવી જગ્યાએ પોરાભક્ષક ગપ્પી ફિશ મુકવામાં આવશે.