પીએમ કેર્સ ફંડમાંથી જામનગરની જી.જી. હોસ્પિટલને 50 વેન્ટિલેટર ફાળવાયા

જામનગરમાં કાર્યરત સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલ, કોવિડ-19 હોસ્પિટલને પી.એમ.કેર ફંડમાંથી 50 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. આ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે આભાર વ્યક્ત કર્યો છે. સમગ્ર રાષ્ટ્ર કોવિડ-19ની મહામારી સામે જંગ લડી રહયુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઈ રહ્યું છે, તેમજ સજ્જતાના ભાગરૂપે પીએમ.કેર્સ ફંડમાંથી મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાષ્ટ્રભરમાં જયાં જયાં ગંભીર પરિસ્થિતિ હોય અને તાતી જરૂરિયાત હોય તો પૂરી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશાનુસાર સંપૂર્ણ સેવાઓ પૂરી પાડીને રાષ્ટ્રની જન જનના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે.
જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-19 હોસ્પિટલમાં જામનગર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લામાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટિલેટર પર રાખવાની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ કોરોના સામેના જંગમાં વધુ સજ્જ કરવા માટે અને દર્દીઓના હિત માટે પીએમ.કેર્સ ફંડમાંથી 50 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. આ અત્યંત જરૂરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ક્રીટીકલ સંજોગોમાં હવે વધુ સારી રીતે સારવાર થઈ શકે.
– રોહિત મેરાણી (જામનગર)