વિડીયો કોન્ફરન્સથી સરકારી કોલેજ થરાદ ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવની કરાઈ ઉજવણી

થરાદ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા ‘સંસ્કૃત સપ્તાહોત્સવ’ અંતર્ગત એક ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વ્યાખ્યાનનું આયોજન ગત ગુરુવારના રોજ કરવામાં આવ્યું હોઈ ‘સંસ્કૃતં ભારતસ્ય આત્મા’ અર્થાત સંસ્કૃતભાષા ભારતની આત્મા છે એ મુખ્ય વિષય રહ્યો હતો, આ કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના પ્રિન્સિપાલ ડૉકટર હિંમતભાઈ સેંજલિયા, મુખ્યાતિથિ કવિ બોટાદ કોલેજના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉકટર દિનકર અને મુખ્યવકતા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગાંભોઈ, હિંમતનગર, જિ.સાબરકાંઠાના સંસ્કૃતવિભાગાધ્યક્ષ ડૉકટર ભાવપ્રકાશ ગાંધી હતા. કાર્યક્રમનો શુભારંભ વૈદિક મંગલાચરણથી થયા બાદ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા મુખ્યાતિથિ, વકતા સાથે સૌનું સ્વાગત કરી પ્રસંગોચિત વચનરૂપી ઉદ્બોધન આપ્યું હતું, ત્યારબાદ મુખ્યાતિથિ મહોદયે શુભેચ્છાઓ આપી હતી અને વકતા દ્વારા વિષયસંબદ્ધ સરસ વ્યાખ્યાન કરાયા બાદ ડૉક્ટર ભાવપ્રકાશ ગાંધીજીએ જણાવ્યું કે અમારા બધાં શાસ્ત્રોની ભાષા સંસ્કૃત છે અને ભારત તેમજ ભારતીય સંસ્કૃતિને સમઝવા માટે સંસ્કૃતભાષા ખૂબ જ જરૂરી છે.
સંસ્કૃત ભાષા કોઈ એક વર્ગની ભાષા નથી પણ આ સર્વેની ભાષા હોઈ દેવભાષા કહેવાય છે, જેઓ સંસ્કૃતસંભાષણ કરે અને સંસ્કૃતના શાસ્ત્રો વળી ગ્રંથોનો અભ્યાસ કરે છે તેઓમાં દૈવીય પ્રવૃત્તિનો વિકાસ થાય છે માટે આ ભાષા દેવભાષા છે. આપણા શાસ્ત્રોમા વ્યસનોથી દૂર રહેવા માટે અને પુરુષાર્થપૂર્વક જીવન જીવવા માટે ઉપદેશો આપ્યા છે એની સાથે વકતા દ્વારા સંસ્કૃતનાં વિવિધપક્ષો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. થરાદ કોલેજના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉકટર પ્રશાંતભાઈ શર્માએ સમસ્ત કાર્યક્રમનું સંચાલન કરી જણાવ્યું હતું કે શ્રાવણશુક્લ પૂર્ણિમાના દિવસે સંસ્કૃતદિવસની ઉજવણી કરવામાં આવે છે, જોકે આ વર્ષે ૩૧મી જુલાઈથી ૦૬ ઓગસ્ટ સુધી સંસ્કૃતસપ્તાહનો આયોજન સમસ્ત વિશ્વમાં થાય છે, સંસ્કૃતવિભાગના ડૉકટર આનંદકુમાર શર્માએ ધન્યવાદ જ્ઞાપન કરી શાંતિપાઠ કર્યા બાદ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાયેલ કાર્યક્રમ પૂર્ણ થયો હતો, તેમજ કાર્યક્રમમાં થરાદ કોલેજના સમસ્ત પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને અન્ય કોલેજોથી પણ પ્રાધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ મારફતે યોજાયેલ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ