અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર એકશન મોડમાં, બર્ગર કિંગ-પાણી પુરીની લારીઓ બંધ

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. એએમસી દ્વારા ખાણીપીણીની જે જગ્યા પર ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે તેને તાત્કાલિક સીલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસજી હાઇવે પર આવેલ બર્ગર કિંગ અને મણિનગરમાં પાણી પુરીઓ પર વધારે ભીડ હોવાથી બંધ કરાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા, પાણી પુરીની લારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ, દાબેલી- સેન્ડવીચ સેન્ટરો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તુટી પડી છે. જે જગ્યા પર ભારે ભીડ દેખાય અને સોશિયલ ડિસ્ટન્સ જોવા ન મળે તે બધા જ એકમો બંધ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં હાલ કોરોનાના કેસમાં વધારો જોવા મળતા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, એમા પણ બહાર નિકળતા સમયે માસ્ક પહેરવા માટેની ખાસ સૂચના આપી છે. ત્યારે દિવાળી પહેલા તંત્ર દ્વારા ખાણી પીણી સ્ટોલ પર સરકારની ગાઈડલાઈનનો ભંગ દેખાતો હતો તો તેને તાત્કાલિક સીલ કરી દેવામાં આવતું હતું. જો કે, હાલ દિવાળીના તહેવારને લઈ લોકો બજારમાં ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી.
અમદાવાદમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ
અમદાવાદમાં તહેવારોના પગલે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કર્યુ ન હતુ. લોકો બજારોમાં કીડિયારાની જેમ ઊભરાયા હતા. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પહેલા સરકારી હોસ્પિટલો ફુલ થઈ અને તેના પછી હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જ આમ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલના 90થી 95 ટકા બેડ ભરાઈ ગયા છે. એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 હોસ્પિટલમાં તો બેડ જ ખૂટી પડ્યા છે.
અમદાવાદ શહેરની 72 હોસ્પિટલને કોવિડ માટે રિઝર્વ કરાઈ છે. અમદાવાદની હોસ્પિટલોમાં કુલ 2,256 બેડમાંથી 2,085 બેડમાં દર્દીઓ દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં પણ હવે માંડ 171 બેડ જ ખાલી છે. હોમ આઇસોલેશનમાં હોય તેવા 786 દર્દી છે અને તેમા હવે ખાલી જગ્યા ફક્ત 89 છે. એચડીયુમાં 794ના દર્દી છે અને તેમા 94 બેડ જ ખાલી છે. વેન્ટિલેગર વગરના આઇસીયુ પર 346 દર્દીઓ સારવાર પર છે અને તેમા પણ ખાલી બેડ 20 છે. વેન્ટિલેટર વિથ આઇસીયુ પર 156 દર્દીઓ સારવાર પર છે અને ખાલી બેડ ફક્ત 16 જ છે.