ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાનની ધરપકડ
અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા મોટો અપસેટ સર્જાયો છે. કરોડોની ઉચાપતના આરોપસર સીઆઈડી ક્રાઈમ દ્વારા ઉત્તર ગુજરાતના દિગ્ગજ સહકારી આગેવાન અને પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં દુકાળ દરમિયાન સહાય પેટે ૨૨ કરોડના સાગરદાણના કથિત કૌભાંડનો મામલે વિપુલ ચૌધરી પર આરોપ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગરથી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવતા સ્થાનિક સહકારી સેક્ટરમાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે.
મહારાષ્ટ્રના દુષ્કાળ વખતે મહેસાણાથી સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર ૨૨ કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે તે વખતના ચેરમેન વિપુલ ચૌધરી સામે ફરિયાદ દાખલ થઈ હતી. વિપુલ ચૌધરીએ બોનસ અને ડિપોઝિટને લઈને ૧૨ કરોડની ઉચાપત કરી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં સોમવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. એ પહેલાં જ ચૌધરીને જેલભેગા કરી દેવાયા હતા. આ પહેલા મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિપુલ ચૌધરીને નોટિસ અપાઈ હતી. દૂધસાગર ડેરીની ચૂંટણી સમયે જ જોડિયા ગામની મંડળીમાં ખોટી રીતે સભ્ય બનવા મામલે નોટિસ અપાઈ હતી. જેમાં ૧-૦૪-૨૦૧૯ થી ૩૧-૦૩-૨૦૨૦ના ઓડિટ દરમિયાન ખોટી રીતે સભાસદ બન્યા હોવાનું સામે આવ્યું હતું. સહકારી કાયદાની કલમ ૨૩ મુજબ જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ આપતા રાજકારણ ગરમાયું હતું. સભ્ય પદ કેમ રદ ન કરવું એ અંગે કારણદર્શક નોટિસ અપાઈ હતી.