રસીકરણમાં 90 લાખ ખાનગી સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાશે
સરકાર દેશભરમાં કોરોનાની રસીકરણ માટેની તૈયારી કરી રહી છે ત્યારે રસીકરણની પ્રક્રિયામાં ૯૦ લાખ ખાનગી સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાશે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે દેશના ૧૩૦ કરોડ નાગરિકને કોરોનાની રસી આપવી એ સરકાર, પોલીસ અથવા અન્ય અધિકારીઓ માટે બહું કપરું કામ છે અને આ કામમાં ખાનગી સિક્યોરિટી ગાર્ડ બહું મહત્ત્વનો ભાગ ભજવશે. દરેક ઘર સુધી રસી પહોંચે એ કામ ફક્ત ખાનગી સિક્યોરિટી ગાર્ડ જ કરી શકે એમ છે.
દેશમાં અંદાજે ૯૦ લાખ જેટલા ખાનગી સિક્યોરિટી ગાર્ડ છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે ખાનગી સિક્યોરિટી ગાર્ડ દરેક સોસાયટી, હૉસ્પિટલો, બૅન્કો, બજારો, સંસ્થાઓ સહિત બધે જ હાજર છે અને એમણે કોરોનાકાળ દરમિયાન ફ્રન્ટલાઇન વૉરિયર્સ તરીકે પણ સેવા આપી છે. અમે ખાનગી સિક્યોરિટી ઉદ્યોગને દેશની આંતરિક સુરક્ષા માટે મહત્ત્વનો ગણીએ છીએ અને માટે જ ગૃહ મંત્રાલયે આ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા અને આગળ વધારવા માટે અનેક પગલાં લીધાં છે.
ખાનગી સિક્યોરિટી ઉદ્યોગને જીએસટીમાં રાહત આપવા માટે ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલયને ભલામણ કરશે. ખાનગી સિક્યોરિટી ઉદ્યોગ વૈશ્ર્વિકસ્તરે સમકક્ષ બને અને એમને ઉદ્યોગ ચલાવવામાં પણ સરળતા રહે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે. સૌ પ્રથમ કોરોનાની રસી મળી શકે એ માટે ખાનગી સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ ફ્રન્ટલાઇન વૉરિયર્સની યાદીમાં કરવા માટે ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલયને ભલામણ કરશે.