જામનગરમાં ૩૦ કિ.મિ.ની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો

- સતત બીજા દિવસે પણ લઘુતમ-મહતમ તાપમાન સ્થિર રહ્યું
જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના અંતિમ ચરણમાં સતત બીજા દિવસે લઘુતમ અને મહતમ તાપમાન સ્થિર રહેતા તિવ્ર ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ જનજીવને કર્યો હતો. જોકે, સુસવાટા મારતા બર્ફિલા પવનની ઝડપ વધી ૩૦ કિ.મિ. સુધી પહોચતા મોડીસાંજથી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહયુ હતું. છેલ્લા પખવાડીયા દરમિયાન તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ખાસ કરી સપ્તાહના પ્રારંભે રાત્રીનું તાપમાન સિંગલ ડિઝીટમાં સરકી જતા કડકડતી ઠંડીની આગોશમાં જનજીવન સપડાયુ હતું.
જોકે, સપ્તાહના અંતિમ દિવસોમાં ફરી લઘુતમ તાપમાન ઉંચકાતા શુક્રવાર બાદ શનિવારે પણ પારો ૧૩ ડીગ્રીએ સ્થિર થયો હતો. જ્યારે દિવસનું તાપમાન પણ ૨૫ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં પવનની ઝડપમાં ક્રમશ: વધારો થતા શનિવારે ૨૦થી ૩૦ કિ.મિ.ની ઝડપે વેગલો વાયરો ફુકાયો હતો જેથી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. સાથોસાથ જનજીવન પ્રભાવિત થયુ હતું. રાત્રીના પગરવ સાથે જ શહેરના ધમધમતા માર્ગો પર શિતપ્રકોપના કારણે અવર જવર નહિવત જોવા મળી હતી. જ્યારે બપોરના હુંફાળા વાતાવરણને બાદ કરતા મોટા ભાગે વાતાવરણમાં ટાઢોડુ છવાયું હતું.
– રોહિત મેરાણી (જામનગર)